નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં આઈપીએલ ક્રિકેટ પ્રેમીઓમાં સુપર હોટ ફેવરીટ બની છે. આગામી દિવસોમાં આઈપીએલ 2021 રમાવા જઈ રહી છે. ત્યારે આઈપીએલ 2022ની અંગેના મહત્વના સમાચાર આવી રહ્યા છે આઈપીએલ 2022માં 10 ટીમો રમશે. અને આવનારા મે મહિનામાં આ ટીમોની હરાજી થશે. મહત્વની વાત એ છે કે નવી બે ટીમોની ફ્રેન્ચાઈઝી માટે અદાણી અને ગોયન્કા આગળ આવશે.
મળતી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ આઇપીએલ 2021ના અંતિમ ચરણ દરમિયાન મે મહિનામાં હરાજી યોજવાનો નિર્ણય લીધો છે. BCCI ચીફ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત બીસીસીઆઇના ઉચ્ચ અધિકારીઓએ શનિવારે વર્ષની શરૂઆતમાં આઇપીએલ સંચાલન સમિતિ દ્વારા અનુમોદિત વિવિધ નીતિગત નિર્ણયો પર વિચાર કરવા માટે એક બેઠક યોજી હતી.
BCCIના એક અધિકારીએ નામ જાહેર ન થવાને શરતે કહ્યું કે, આગામી વર્ષથી આઇપીએલમાં 10 ટીમો હશે અને આ વર્ષે મે મહિના સુધી નવી ફ્રેન્ચાઇઝીની હરાજી પ્રક્રિયા અને તેના સાથે જોડાયેલી વિવિધ ચીજોને અંતિમ રૂપ આપી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે એક વાર ટીમો નક્કી થઈ જશે તો તેઓ પોતાનું પરિચાલન કાર્ય શરૂ કરી શકે છે, જેમાં ઘણો સમય લાગે છે.
IPLની બે નવી ટીમોના માલિક કોણ હશે તે સવાલનો જવાબ જાણવો તમામ લોકો માટે ઘણો રસપ્રદ રહેશે. અહેવાલો મુજબ, આઇપીએલ ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને સંજીવ ગોયન્કા આગળ રહેશે. આઇપીએલમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને ખરીદવાની ઈચ્છા અદાણી ગ્રુપ પહેલાથી જ વ્યક્ત કરી ચૂક્યું છે. હવે તો અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ બની ચૂક્યું છે.
નોંધનીય છે કે, વર્ષ 2022માં જ્યારે 10 ટીમો આઇપીએલમાં રમતી જોવા મળશે તો તેના ફોર્મેટમાં પણ ફેરફાર થઈ શકે છે. હાલ આઇપીએલ રાઉન્ડ રોબિન અંદાજમાં રમાડવામાં આવે છે જેમાં દરેક ટીમ એક-બીજા સામે બે-બે વાર ટકરાય છે અને વધુ પોઇન્ટ મેળવનારી 4 ટીમ ક્વોલિફાયર રમે છે. પરંતુ 10 ટીમોની સાથે ફોર્મેટ કંઈક અલગ થવાનું શક્યતા છે. જેમાં ટીમો ટીમોને બે ગ્રુપમાં વહેંચવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે આ વાતની પુષ્ટિ નથી થઈ.