સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા, ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે કે તેણે ઈંગ્લેન્ડના પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, ત્યારબાદ તેણે તેના શોટ સિલેક્શન પર કામ કર્યું હતું. અને ઘણા સુધારા કર્યા હતા. જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન છેલ્લી વખત રમ્યા બાદ કોહલીએ લગભગ એક મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. હવે તે ટી-20 ફોર્મેટમાં એશિયા કપમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે.
ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વ્હાઇટ બોલ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ન ફટકારવાને કારણે કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. જો કોહલી 28 ઓગસ્ટે દુબઈમાં પાકિસ્તાન સામેની એશિયા કપની પ્રથમ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે, તો તે કોહલીની 100મી T20I મેચ હશે.
કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ પરના શો ‘ગેમ પ્લાન’માં કહ્યું, ‘ઈંગ્લેન્ડમાં જે થયું તે અલગ વાત હતી, મેં મારા શોટ સિલેક્શનમાં સુધારો કર્યો છે. હવે મને બેટિંગમાં કોઈ સમસ્યા દેખાતી નથી. ભારતના ભૂતપૂર્વ સુકાની કોહલીએ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં હોવાના આ તબક્કાના મહત્વને સમજાવ્યું અને કહ્યું કે તેનાથી રમતની સાથે સાથે જીવન પ્રત્યેના તેના દૃષ્ટિકોણમાં સુધારો થયો છે.