Spiritual: ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા.
ગંગાસતીએ ગુરૂની મહિમા અને મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યા છે. તે પાનબાઇને ઉદ્દેશીને રચવામાં આવ્યા છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે.
આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે
1. પરિપૂર્ણ સતસંગ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે … પરિપૂર્ણ.
નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે … પરિપૂર્ણ.
સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે … પરિપૂર્ણ.
મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે … પરિપૂર્ણ.
2. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે … નવધા ભક્તિમાં
રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે …. નવધા ભક્તિમાં
દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે … નવધા ભક્તિમાં
અભ્યાસી થઈને પાનબાઈ એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
3. હેઠા ઊતરીને પાસ લાગ્યા
હેઠા ઊતરીને પાસ લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા.
અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે … હેઠા.
સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે … હેઠા.
સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે’ર રે … હેઠા.
4. માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો.
રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે’ણી થકી રોમરોમ ભીંજાય,
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય … માણવો.
રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય … માણવો.
રે’ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય … માણવો.
5. મનડાને સ્થિર કરે
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે … મનડાને.
અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે…
સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી
વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી …. મનડાને સ્થિર
મનડાને સ્થિર કરી
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને.
સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને.
કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને.
ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.
6. મન વૃત્તિ જેની સદાય નીર્મળ
મન વૃત્તિ જેની સદાય નીર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ….
પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે …. મન વૃતિ જેની
અંતર કેરી આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું ભાન …. મન વૃતિ જેની
હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગા સતી જોને એમ જ બોલિયા
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે …. મન વૃત્તિ જેની
7. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવી
કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે
જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે
પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે
ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે
8. વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે … વચન.
ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,
ને જમાવી આસન એકાંત માંય,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,
ને વરતે છે એવાં વ્રતમાન રે … વચન.
ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,
ને તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે,
ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો,
>ને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે … વચન.
9. વચન વિવેકી જે નરનારી
વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથાર્થ વચનની સાન જેણે જાણી રે
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ,
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એક મના થઈને આરાધ કરે તો,
નકળંક પ્રસન્ન થાય રે… વચન વિવેકી.
વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ!
વચને મંડાય પ્રભુનો પાઠ,
વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો,
વચનનો લા’વે જોને ઠાઠ રે … વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
કરવો વચન વાળાનો સંગ રે … વચન વિવેકી.
10.લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં
ને મૂકીને બતાવો અપાન રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે રે ભજનમાં એક તાર રે …. લાભ જ લેવો હોય તો
પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ નહીં બોલવું નહીં ને
ધારણા રે રાખવી ધીર રે …. લાભ જ લેવો હોય તો
આહાર તો સર્વે સદગુણી કરવો
ને રૂડી રે પાળવી રીત રે
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પૂરણ રીત રે … લાભ જ લેવો હોય તો
ખટમાસ એકાંતમાં આસન જીતવું બાઈ
ત્યારે અડધો યોગ કહેવાય રે,
ગંગા સતી તો એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે …. લાભ જ લેવો હોય તો
11. યોગી થવું હોય તો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાવના હોય તો હિંમત રાખો,
ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રે … યોગી.
રજોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણોનો નાશ રે … યોગી.
સત્વગુણમાં ભેદ છે મોટો,
ને એક શુદ્ધ બીજો મલિન કે’વાય
મલિન ગુણોનો ત્યાગ કરવો,
ને પરિપૂર્ણ યોગી થાય રે … યોગી.
વિદેહદશા તેહની પ્રગટે તેથી,
ત્રણ ગુણોથી થયો પાર રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂર્યાતિતમાં તાર રે … યોગી.
શીલવંત સાધુને વારે વારે નમીએ
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
12. જેના બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે
જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને
શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે,
મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે
એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને
આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને
એનાં જાગી ગયો તુરિયનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને
સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને
સંગત તમે જ્યારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
દેખાડે હરિ કેરા દ્વાર …. શીલવંત સાધુને
13. વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત;
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ … વીણવો.
આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,
કોઈને કહ્યો નવ જાય;
એ રસ હું તમને બતાવું પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય …. વીણવો.
આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ!
ત્યારે લેર સમાય … વીણવો.
આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો
નિરખ્યા ત્રિભુવનનાથ … વીણવો.
14. વિવેક રાખો તમે સમજી ચાલો
વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે … વિવેક.
અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે’ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે … વિવેક.
અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે …. વિવેક.
દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે … વિવેક.
15. વસ્તુ વિચારીને દીજીએ
જોજો તમે સુપાત્ર રે,
વરસા સુધી અધિકારીપણું જોવું
ને ફેર ન રહે અણુમાત્ર રે … વસ્તુ.
ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે
જે આવી લાગે એને પાય રે … વસ્તુ.
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે … વસ્તુ.
16. સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ.
આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે … સ્થિરતાએ
લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે … સ્થિરતાએ.
ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે … સ્થિરતાએ.
17. સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે
ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે … સાનમાં રે
વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે …. સાનમાં રે
વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે …. સાનમાં રે
18. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો
પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે … સર્વ ઈતિહાસનો
શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે …. સર્વ ઈતિહાસનો
ભક્તિ વિના પાનબાઈ, ભગવાન રીઝે નહીં
ભલે કોટિ રે કરે ઉપાય રે,
ગંગા સતી તો એમ જ બોલિયા
આપદા ભક્તિ વિના નવ જાય રે … સર્વ ઈતિહાસનો