પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને લાહોરની આતંકવાદ વિરોધી અદાલતમાંથી મોટી રાહત મળી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાનને આતંકવાદ વિરોધી અદાલતે આગચંપી, પોલીસ સામે હિંસા, તોડફોડ અને ઝીલા શાહની હત્યા સંબંધિત ત્રણ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તોશખાના કેસમાં ઇમરાનની ધરપકડ કરવાના અભિયાન દરમિયાન ઇમરાનની પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં લાહોર પોલીસે આ કેસ નોંધ્યા હતા.
વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ કેસમાં ઇમરાન ખાનના વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. અગાઉ 27 માર્ચે, પાકિસ્તાનની એક અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ફેડરલ જ્યુડિશિયલ કોમ્પ્લેક્સમાં અથડામણ અંગે નોંધાયેલા સાત અલગ-અલગ કેસોમાં વચગાળાના જામીન આપ્યા હતા. ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) ના મુખ્ય ન્યાયાધીશ આમર ફારૂક અને ન્યાયમૂર્તિ મિયાગુલ હસન ઔરંગઝેબની એક ડિવિઝન બેંચે જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી.
આતંકવાદ સંબંધિત ત્રણ કેસમાં મળ્યા હતા જામીન
તમને જણાવી દઈએ કે આ પહેલા 25 માર્ચના રોજ આતંકવાદ વિરોધી કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને આતંકવાદ સંબંધિત ત્રણ કેસમાં 4 એપ્રિલ સુધી આગોતરા જામીન આપ્યા હતા. લાહોર પોલીસે ઇમરાન વિરુદ્ધ આ કેસ નોંધ્યા છે. ઇમરાન સુનાવણી માટે લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમના સેંકડો સમર્થકો પણ તેમની સાથે હતા. ઇમરાને ન્યાયાધીશ એજાઝ અહેમદ બટ્ટરને કહ્યું કે તે લાહોરમાં રેસકોર્સ પોલીસ દ્વારા નોંધાયેલા ત્રણ આતંકવાદી કેસોની તપાસમાં જોડાવા માંગે છે. ત્યારબાદ કોર્ટે ઇમરાન ખાનને આગોતરા જામીન આપ્યા હતા અને દરેક સુનાવણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
જણાવી દઈએ કે અગાઉ તોશખાના કેસમાં જયારે ઇસ્લામાબાદ પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના જમાં પાર્ક ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી હતી ત્યારે તેમના સમર્થકોની અથડામણ પોલીસે અને સેના સાથે થઈ હતી.