કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બાકીના ૨૩ જિલ્લાઓમાં પણ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી આગામી તા.૧૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવશે એમ રાજ્ય પશુ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
પશુઓમાં વિષાણુથી થતાં ખરવા મોવાસાના આ રોગના કારણે નાની ઉંમરના પશુઓમાં મોટા પ્રમાણમાં મરણ થાય છે અને મોટા વયસ્ક પશુઓમાં દૂધ ઉત્પાદન અને કાર્યક્ષમતા પર મોટી અસર થાય છે જેના કારણે પશુપાલકને ઘણું મોટું આર્થિક નુકસાન થાય છે.
આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ગાય ભેંસ વર્ગના પશુઓમાં વિના મૂલ્યે રસીકરણ કરવામાં આવશે અને આ માટે પશુપાલન ખાતાની તમામ પશુ સારવાર સંસ્થાઓ, સહકારી દૂધ ઉત્પાદક સંસ્થાઓ અને સ્વૈછિક સંસ્થાઓ મળીને રાજ્યવ્યાપી કાર્યક્રમ આયોજીત કરી રહેલ છે. આ રસીકરણના કાર્યક્રમ દરમ્યાન પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે અમલ કરવાની રહેતી તમામ કાળજી અને તકેદારીઓ રાખવા માટે જિલ્લા પશુપાલન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેથી આ રસીકરણનો રાજ્યના તમામ પશુપાલકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૯થી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવ્યું છે.