બિલકિસ બાનો ગેંગરેપ કેસના તમામ 11 દોષિતોને થોડા મહિના પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં બિલકિસ બાનોને કોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ મામલે વિશેષ બેંચ બનાવવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે ખાતરી આપી છે કે નવી બેંચની રચના કરીને કેસની સુનાવણી કરવામાં આવશે. બિલકિસ બાનોએ 11 દોષિતોની સજા માફીને પડકારી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ શકી ન હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે, બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરતી વખતે, તેમના વકીલ શોભા ગુપ્તા દ્વારા તેમને ખાતરી આપી હતી કે નવી બેંચની રચના કરવામાં આવશે. એડવોકેટ શોભા ગુપ્તાએ આ મામલે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરતા કહ્યું હતું કે નવી બેંચની રચના કરવાની જરૂર છે.
જાન્યુઆરીમાં સુનાવણી થઈ શકી ન હતી
ચીફ જસ્ટિસે આ મામલે કહ્યું, ‘નવી બેંચની રચના કરવામાં આવશે. અમે આજે સાંજે તેના પર વિચાર કરીશું.’ અગાઉ 24 જાન્યુઆરીના રોજ, ગુજરાત સરકાર દ્વારા ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આપવામાં આવેલી માફીને પડકારતી બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકી ન હતી કારણ કે સંબંધિત ન્યાયાધીશ, પાંચ જજોની બંધારણીય બેંચનો ભાગ હોવાને કારણે, તેઓ ઈચ્છા મૃત્યુ (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) સાથે સંબંધિત એક કેસની સુનાવણી કરી રહ્યા હતા.
દોષિતોની મુક્તિને પડકારતી અરજી ઉપરાંત, બિલકિસ બાનોએ એક અલગ અરજી પણ દાખલ કરી હતી, જેમાં એક દોષિતની અરજી પર સુપ્રીમ કોર્ટના 13 મે 2022ના આદેશની સમીક્ષા કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 13 મે 2022ના રોજ સંભળાવેલા એક આદેશમાં રાજ્ય સરકારને 9 જુલાઈ 1992ની તેની નીતિના સંદર્ભમાં સમય કરતા વહેલા મુક્તિ માટે દોષિતની અરજી પર વિચાર કરવા અને તેના પર બે મહિનાની અંદર નિર્ણય લેવા જણાવ્યું હતું.
જો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. બિલકિસ બાનો ગેંગરેપ કેસના તમામ 11 દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તે ગોધરા સબ જેલમાં બંધ હતા અને 15 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી.