[highlight]સુરત શહેર પાછળ કુલ ફંડના 80 ટકા 8 કિલોમીટરના વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવશે [/highlight]
કેન્દ્રની મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સ્માર્ટસિટીનો પણ સમાવેશ થાય છે. જો કે આ યોજનાને લઈ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યોજના પાછળ ફળવાયેલ ફંડ અને ખર્ચનો ડેટા લીક થયો છે. જેમાં સામે આવેલ વિગતો મુજબ સ્માર્ટસિટી બનાવવા માટે ખર્ચ કરવામાં આવતી કુલ રકમ પૈકી ૮૦ ટકા રકમ માત્ર શહેરના ૩ ટકા વિસ્તારને ચમકાવવા પાછળ વપરાઈ રહી છે.સ્માર્ટસિટી યોજના અંતર્ગત ૫૯ શહેરોને સ્માર્ટસિટી બનાવવા માટે કુલ ૧.૩૧ લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. જેમાંથી ૧.૦૫ લાખ કરોડ રૂપિયા એરીયા બેઈઝ ડેવલોપમેન્ટ પાછળ ખર્ચાશે. એરીયા બેઈઝ ડેવલોપમેન્ટ એ સ્માર્ટસિટીનો એ વિસ્તાર છે કે જ્યાં આઈટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની મદદથી વાઈફાઈ હોટસ્પોટ સ્ટાર્ટઅપ પ્રમોશન ઝોન અને મલ્ટી મોડલ પોઈન્ટ બનાવવામાં આવશે. ૫૯ શહેરોમાં કુલ મળીને આ વિસ્તાર ૨૪૬ સ્ક્વેર કિલોમીટરનો થાય છે. આ શહેરોના કુલ વિસ્તારના માત્ર ૨.૭ ટકા જેટલો જ છે. જ્યારે બાકી વધેલા ૨૬૧૪૧ કરોડ રૂપિયા અન્ય વિસ્તારમાં ડેવલોપમેન્ટ માટે વપરાશે.
પૂણેની વાત કરવામાં આવે તો તેના માટે કુલ ૨૮૭૦ કરોડ રૂપિયા ફળવાયા છે. જેમાંથી ૨૧૯૬ કરોડ રૂપિયા માત્ર ૩.૬ સ્ક્વેર કિલોમીટર વિસ્તારના વિકાસ પાછળ ખર્ચાશે. જ્યારે બાકીના સમગ્ર સીટી માટે ૬૭૪ કરોડ રૂપિયા જ વપરાશે. આ રીતે ભૂવનેશ્વર માટે કુલ ૪૫૩૭ કરોડ રૂપિયા ફળવાયા છે. જેમાંથી ૯૦ ટકા રકમ શહેરના ૪ સ્ક્વેર કિલોમીટર વિસ્તારના ડેવલોપમેન્ટ માટે વપરાશે. જે સમગ્ર સિટીના કુલ વિસ્તારના માત્ર ૩ ટકા થાય છે. આજ રીતે સુરતના વિકાસ માટે કુલ ૨૫૯૭ કરોડ રૂપિયા ફળવાયા છે. જેમાંથી ૧૮૦૨ કરોડ રૂપિયા શહેરના ૮.૭ સ્ક્વેર કિલોમીટર વિસ્તારના ડેવલોપમેન્ટ પાછળ વપરાશે. જ્યારે ૮૧૯ કરોડ રૂપિયા અન્ય વિસ્તારોના વિકાસ માટે વપરાશે.