ગુરુવારે રાત્રે મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના ન્યૂ લામ્કા ખાતે ટોળાએ એક કાર્યક્રમના સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એન.બિરેન સિંહ પણ ભાગ લેવાના હતા. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક પોલીસે ભીડને વિખેરી નાખી. જો કે, ત્યાં સુધીમાં સ્થળમાં તોડફોડ કરવામાં આવી હતી અને સેંકડો ખુરશીઓને આગ ચાંપી દેવામાં આવી હતી.
કલમ 144 લાગુ, ઇન્ટરનેટ સેવાઓ બંધ
આ પછી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. દક્ષિણ ચુરાચંદપુરમાં પરિસ્થિતિ તંગ રહી હતી, વહીવટીતંત્રે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે જિલ્લામાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ 144 લાગુ કરી હતી.
બિરેન સિંહ ઉદ્ઘાટન કરવાના હતા
પોલીસના જણાવ્યા અનુસાર, રોષે ભરાયેલા ટોળાએ ન્યૂ લામકામાં પીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થાપિત નવા જિમને પણ આગ લગાવી દીધી હતી, જેમાં કેટલાકને નુકસાન થયું હતું. મુખ્યમંત્રી એન બિરેન સિંહ શુક્રવારે બપોરે આ જીમનું ઉદ્ઘાટન કરવાના હતા. તેઓ સદભાવના મંડપ ખાતે આયોજિત અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.
સ્થાનિક આદિવાસી આગેવાનોએ બંધનું એલાન
પોલીસના જણાવ્યા અનુસાર, ટોળા દ્વારા હુમલો ત્યારે થયો જ્યારે સ્વદેશી આદિવાસી નેતાઓના ફોરમ, ઈન્ડીજીનસ ટ્રાઈબ લીડર્સ ફોરમે સવારે 8 થી 4 વાગ્યા સુધી ચૂરાચંદપુરમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. ફોરમે આક્ષેપ કર્યો હતો કે મણિપુરમાં અનામત જંગલ વિસ્તારોમાંથી ખેડૂતો અને અન્ય આદિવાસી રહેવાસીઓને હાંકી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી હકાલપટ્ટીની ઝુંબેશ સામે વારંવાર રજૂઆતો કરવા છતાં, “સરકારે લોકોની દુર્દશાને દૂર કરવાનો કોઈ ઈરાદો કે ઈચ્છા દર્શાવી નથી. ઉદ્દેશ્યનો કોઈ સંકેત નથી.”