સેન્ટ્રલ રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મહારાષ્ટ્ર પોલીસે બુધવારે બિહાર-પુણે ટ્રેનમાં એક ઓપરેશનમાં 59 બાળકોને માનવ તસ્કરોના ચુંગાલમાંથી બચાવ્યા અને પાંચ આરોપીઓની ધરપકડ કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બાળકોને મહારાષ્ટ્રના જલગાંવ અને નાસિક જિલ્લામાં અનુક્રમે ભુસાવલ અને મનમાડ ખાતે દાનાપુર-પુણે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
આરપીએફના એક અધિકારીએ કહ્યું, “વિશ્વસનીય માહિતીના આધારે, સ્થાનિક પોલીસ અને એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) ના સભ્યો સાથે આરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભુસાવલ સ્ટેશન પર તપાસ હાથ ધરી. કુલ 29 બાળકોને બચાવી લેવામાં આવ્યા. બાદમાં, મનમાડમાં એક જ વયજૂથના વધુ 30 બાળકોને ટ્રેનમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને માનવ તસ્કરીના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ અભિયાન ‘ઓપરેશન આહત’ હેઠળ ચલાવવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર આ બાળકોને બિહારથી લાવવામાં આવી રહ્યા હતા અને તેમને સાંગલી મોકલવાના હતા. પાંચ આરોપીઓ સામે માનવ તસ્કરી વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. “એનજીઓ ‘પ્રયાસ’ અને રાજ્ય પોલીસ સાથે મળીને એક બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. ભુસાવલ અને મનમાડ રેલ્વે સ્ટેશનો પર પાંચ તસ્કરોની ધરપકડ કરવામાં આવી અને 59 બાળકોને બચાવી લેવામાં આવ્યા,” RPFએ એક ટ્વિટમાં જણાવ્યું હતું.