નોટબંધી- સર્જીકલ સ્ટ્રાઇક ભાજપને ફળીઃ વિકાસના મુદ્દા ઉપર પ્રજાની મહોરઃ મોદી લહેર યથાવતઃ યુપી- ઉત્તરાખંડમાં ભાજપની ‘હોળી’- અખિલેશ- રાહુલની ‘હૈયાહોળી’: યુપી- ઉત્તરાખંડમાં ભાજપનો વનવાસ સમાપ્તઃ રચશે સરકારઃ પંજાબમાં અકાલી સાથે ભાજપે સત્તા ગુમાવીઃ : ઉત્તરપ્રદેશમાં ૧૯૯૧ની રામ લહેર કરતા પણ ભાજપને મોદી લહેરનો બમ્પર ફાયદો થયોઃ બે તૃતીયાંશ બહુમતી તરફઃ ઉત્તરાખંડમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા ખુંચવીઃ પંજાબમાં આપનું સપનું ચકનાચુરઃ કોંગ્રેસને બહુમતી
ચોથી ફેબ્રુઆરીથી ૮મી માર્ચ વચ્ચે વિવિધ ચરણોમાં યોજાયેલી પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણીપુર અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી માટે ચૂંટણીપંચે આ રાજયોમાં ૧પ૭ મત ગણતરી કેન્દ્રો બનાવ્યા છે. પંજાબમાં પ૩, ગોવામાં ર, ઉત્તરપ્રદેશમાં ૭પ, ઉત્તરાખંડમાં ૧પ અને મણીપુરમાં ૧ર જગ્યાએ મત ગણતરી થઇ રહી છે. આજે સૌથી પહેલા ડાકથી મળેલા મતપત્રોની ગણતરી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ૪૦૩ બેઠકો માટે ૧૧ ફેબ્રુઆરીથી ૮મી માર્ચ વચ્ચે ૭ તબક્કે મતદાન થયુ હતુ.
ઉત્તરપ્રદેશમાં ભાજપના વિજયથી રાજયસભામાં ભાજપ-એનડીએની તાકાત વધશે અને મહત્વના બીલ પસાર કરવામાં તેને ફાયદો થશે એટલુ જ નહી જુલાઇમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ફાયદો થશે. ૪૮૯૬ જન પ્રતિનિધિ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે આમાંથી ૭૭૬ સાંસદ લોકસભા અને રાજયસભાથી હોય છે. જયારે દેશમાં અલગ-અલગ રાજયોથી ૪૧ર૦ ધારાસભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે છે. આ ધારાસભ્યોના વોટનુ મુલ્ય રાજયની જનસંખ્યાના આધારે નક્કી થાય છે તેથી ભાજપના આ વિજયથી જેટલા ધારાસભ્યો ચૂંટાયા છે તેટલો ભાજપને ફાયદો થશે.