કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ લાંબા સમયથી ભરૂચમાં સક્રિય છે, પરંતુ કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને મળ્યા બાદ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે.
લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમયગાળો બચ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી હવે રાજકારણમાં 2024ના ઈલેક્શનથી પ્રવેશી શકે છે. કોંગ્રેસના 85માં અધિવેશનમાં પોતાની હાજરી બાદ આ ચર્ચાએ જોર જગાવ્યું હતું. ત્યારબાદ મુમતાઝ પટેલ હવે ભરૂચના પ્રશ્નોને લઈને સક્રિય જોવા મળે છે.
ભરુચના આ પ્રશ્નને લઈને નીતિન ગડકરી સાથે કરી હતી મુલાકાત
ભરૂચમાં પાર્ટીના કાર્યકરો સાથે સોશ્યલાઇઝ કર્યા બાદ મુમતાઝની કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી સાથેની મુલાકાતને આની સાથે જોડવામાં આવી રહી છે. નીતિન ગડકરી સાથેની મુલાકાત બાદ મુમતાઝે ટ્વીટ કરીને લખ્યું છે કે ભરૂચમાં નેશનલ હાઈવે-48ના ફ્લાયઓવર પર નીતિન ગડકરીજી સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ ઉપરાંત અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલ સુધીનો રસ્તો પહોળો કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. મુમતાઝ પટેલે ખરોડા ફ્લાયઓવરનો મુદ્દો કેન્દ્રીય મંત્રી સમક્ષ ઉઠાવ્યો હતો. ભરૂચનો મુદ્દો ઉઠાવવા બદલ સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. ભરૂચના પ્રશ્નોને લઈને મુમતાઝ પટેલ ભાજપ સરકારના કોઈપણ મંત્રીને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
લોકો કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ
અહેમદ પટેલની પુત્રી મુમતાઝ ભરૂચમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના રણનીતિકાર અહેમદ પટેલના પુત્રીની રાજકારણમાં પ્રવેશની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ પિતાના અવસાન બાદ મુમતાઝ સતત કહેતી રહી છે કે લોકો કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ. જો કે, અગાઉ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી મુમતાઝે પ્રચાર કર્યો હતો ત્યારથી સતત પોલિટીકલ સ્ટેજ પર લાઈમલાઈટમાં રહેતી મુમતાઝ ધીમે ધીમે સક્રીય થઈ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.