રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4200 નજીક પહોંચી છે.રાજકોટમાં આજે 33 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં 10 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં જ 136 પર મૃત્યુઆંક પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ 4200 નજીક પહોંચી ગઈ છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓને લઈને રાજકોટનો ડેથ રેટ ઉંચો જઈ રહ્યો છે. 1500 સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં 68નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ મનપાના સફાઈ કર્મચારીઓનું ચાર દિવસ સુધી હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. અગાઉ મનપાની ઈસ્ટ ઝોન કચેરીમાં 900 જેટલા સફાઈ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 45 સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. ત્યારબાદ ઈસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઈ કર્મચારીનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.