ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓમાં દરેક પાર્ટીઓ પૂરજોશમાં લાગી ચૂકી છે, ત્યારે સત્તાધારી ભાજપ સામે અત્યાર સુધી જોઈએ તો સીધો પડકાર આપનાર એકપણ પક્ષ એટલો સક્રિય નથી રહ્યો જેટલી આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે.
છેલ્લા 3 મહિનાઓથી જે રીતે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓથી માંડીને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ભણી પ્રવાસો વધારી રહ્યા છે તે જોતાં રાજ્યમાં કોંગ્રેસ કરતા અત્યંત સક્રિયતા આમ આદમી પાર્ટીની દેખાઈ રહી છે.
આવા સમયે આ વખતે સત્તાધારી ભાજપને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી સુધી ટક્કર આપતી હોય તેવી ચિત્ર નજરે પડી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસ સક્રિય તો થઈ જ છે પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી એકપછી એક કાર્યક્રમો થકી સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે તે જોતાં તેની સીધી અસર ભાજપ કરતા કોંગ્રેસને પડે તો નવાઈ નહી હોય.
બીજી બાજુ ગુજરાતમાં ભાજપે છેલ્લા 30 વર્ષોથી જે રીતે પોતાના મજબૂત પાયા નાખી દીધા છે તેને ઉખેડવા હવે આમ આદમી પાર્ટી જ એકમાત્ર વિકલ્પ હોય તેવું દેખાઈ રહ્યું છે.
રાજ્યમાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ સિવાય લગભગ દરેક ચુંટણીઓમાં કોઈને કોઈ રાજકીય પાર્ટીઓ ચુંટણી મેદાને ઉતરતી હોય છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી એક પણ આવી ત્રીજી પાર્ટી ગુજરાતના જનમાનસમાં બંધ બેસી નથી.
દરેક પાર્ટીઓનું સૌથી પહેલું એકમાત્ર લક્ષ્ય હોય છે સત્તા, અને આ સત્તા માટે ચુંટણીઓમાં સમયે અનેક કાવા દાવા, જાહેરાતો, સ્કીમો જનતા સામે મૂકતી રહી છે.
પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીએ પદ્ધતિસર અને એક સંપૂર્ણ પ્લાનિંગથી સત્તાધારી ભાજપના કાંગરા ખેડવવા માટે વ્યૂહરચના ઘડી છે તે જોતાં ભાજપના સંગઠનમાં પણ ચિંતા હોય તે સ્વાભાવિક છે.
હાલમાં દેશ અનેક નવા નવા આયામો સર કરી રહ્યો છે તો સાથેસાથે એનેક એવી પાયાની સમસ્યાઓ છે જે હજી સુધી વણઉકેલી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આવી જ બાબતોને જનતા સમક્ષ મૂકીને લોકોના માણસની અગ્નિપરીક્ષા કરી રહી છે.
આમ આદમી પાર્ટીની સૌથી પહેલી શરૂઆત ભ્રષ્ટાચારના વિરોધથી થયેલી, અને ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં લોકોના મસ્તિષ્કમાં કનડગત કરતી આ સમસ્યાને હાથોહાથ લઈને ગુજરાતમાં આપ પાર્ટીએ મંડાણ માંડેલા, ત્યારબાદ શિક્ષણના મુદ્દાને લઈને, જેમાં ખાસ કરીને રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણને લઈને આમ આદમી પાર્ટી સત્તાધારી ભાજપ સામે ઉભી થયેલી, જેના પરિણામે રાજ્યના સેંકડો લોકોને આપ પાર્ટીના પાયાના ઉપાડેલા મુદ્દાઓએ સ્પર્શ આપેલો.
રાજ્યના દરેક ઘરોમાં 300 યુનિટ સુધીની વીજળીના બિલની માફી હોય કે પછી દર મહિને રોજગારી ભથ્થું, મહિલા સુરક્ષાની વાત હોય કે ભ્રષ્ટાચાર સામેની કડક અમલવારી… આવા દરેક મુદ્દાઓ રાજ્યના લોકોના મનમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા હોય તેવું દેખાય છે.
અલબત્ત 2017ની વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 17 ઉમેદવારોને ચુંટણી મેદાને ઉતરેલા, જેમાંથી એક પણ બેઠક આપ પાર્ટી જીતી ન શકેલી, પણ આ વખતે વાતો,બાબતો, મુદ્દાઓ, ચુંટણી મેદાનની લડાઈ, સંગઠન, માહોલ વિગેરે કંઇક અલગ હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ સમગ્ર બાબતોને જોતાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દર 10 થી 15 દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેના પરિણામે ગુજરાતના લોકોના મનમાં આમ આદમી પાર્ટી સકારાત્મકતા ભેળવી રહી છે અને દિવસેનેદિવસે સંગઠન મજબૂત બનાવી રહી છે.
વાત લડાઈની છે તો સામે ભાજપ પણ પાછીપાની કરનાર ના હોય તેમ આપ પાર્ટીને રોકવા માટે પ્રયત્નોમાં લાગી ચૂકી છે, હવે જોવાનું રહેશે કે આપ પાર્ટીના મજબૂત બનતા સંગઠનને ભાજપની હરણફાળ ડોટ પાછળ ધકેલી શકે છે કે પછી ગુજરાતની જનતા નવા ચુંટણી પરિણામો જોઈ, સાંભળી કે અનુભવી શકે છે.