આમ આદમી પાર્ટી (AAP)એ પોસ્ટરોના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. PM મોદી વિશે પોસ્ટર લગાવવા બદલ દિલ્હી પોલીસે 100 FIR નોંધી છે અને 6 લોકોની ધરપકડ કરી છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ ‘મોદી હટાઓ દેશ બચાવો’ લખ્યું છે. હવે આમ આદમી પાર્ટીએ પૂછ્યું કે આમાં ખોટું શું છે કે 100 FIR દાખલ કરાવી દેવામાં આવી. AAPએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે સરમુખત્યારશાહી કરી રહી છે.
AAPએ કર્યો મોદી પર જોરદાર પ્રહાર
આ મામલે AAPએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મોદી સરકારની સરમુખત્યારશાહી ચરમ પર છે‼️ આ પોસ્ટરમાં એવું શું વાંધાજનક છે કે તેને લગાવવા પર મોદીજીએ 100 FIR કરી દીધી? પીએમ મોદી, તમને કદાચ ખબર નથી પણ ભારત એક લોકશાહી દેશ છે. એક પોસ્ટરથી આટલો ડર! કેમ?’ આમ આદમી પાર્ટીએ કેટલીક વધુ તસવીરો શેર કરી છે જેમાં દેખાઈ શકે છે કે મોટા બેનરો પર ‘મોદી હટાઓ દેશ બચાવો’ લખેલું છે. આ બેનરો ફ્લાયઓવર અને ફૂટ ઓવર બ્રિજ પર લટકાવવામાં આવ્યા છે.
6ની ધરપકડ, 100 FIR
પીએમ મોદી અને બીજેપી પર કટાક્ષ કરતા લખ્યું છે, ‘પોતાને 56 ઈંચનો કહેનારા. 56 ઇંચના પોસ્ટરથી ડરી ગયા.’ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે, ‘PM મોદી, આના પર કેટલી એફઆઈઆર કરાવશો? હવે તો દરેક ખૂણેથી અવાજ આવી રહ્યો છે.’ આ મામલે કાર્યવાહી કરતી વખતે દિલ્હી પોલીસે કુલ 6 લોકોની ધરપકડ કરી છે અને 100 FIR નોંધી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે AAP કાર્યાલયની બહાર નીકળેલી એક વાન પકડાઈ હતી જેમાં વાંધાજનક પોસ્ટર હતા. એક પોલીસ અધિકારીએ પોસ્ટર લગાવતી વખતે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે AAPએ આ મામલે જોરદાર વળતો જવાબ આપ્યો હતો.