સુરતમાં બુધવારના રોજ બે આતંકવાદીઓની ATS દ્વારા ધરપકડ થયા પછી ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પર ગંભીર આરોપ મુક્યા હતા. ગુજરાતમાં એકબાજુ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના આરોપ-પ્રત્યારોપથી રાજકીય વાતાવરણ ગરમાણું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે, પકડાયેલા બે યુવકોમાંથી એક તે હોસ્પિટલમાં કામ કરતો હતો જેની સાથે અહમદ પટેલ જોડાયેલા છે. ભાજપે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમક્ષ માંગ મુકી કે તે અહમદ પટેલનું રાજીનામું માંગે.
અહેમદ પટેલે ટ્વિટ કરીને આ આરોપો ફગાવ્યા છે અને ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા બાબતે રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં ગુજરાતના શાંતિપ્રિય લોકોમાં ભાગલા ન પાડો.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ બાબતે વળતો જવાબ આપતા કહ્યું કે, અહમદ પટેલે હોસ્પિટલથી 2014માં રાજીનામું આપી દીધુ હતું અને પછી તે કોઈ પણ રીતે હોસ્પિટલ સાથે જોડાયેલા નથી. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વર્તમાનમાં કોઈ આરોપમાં પકડાય છે તો 2014ના ટ્રસ્ટીને કઈ રીતે જવાબદાર ગણી શકાય?