ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરુપે પૂર્વ સીએમ રુપાણીના હોમ ટાઉનમાં આવ્યા હતા. આ ટાણે પૂર્વ સીએમ રુપાણી સ્ટેજ પર જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સોગંધવિધિ બાદ લાંબાગાળે બન્ને નેતાઓ મળ્યા હતા. એકબીજાનું અભિવાદન કરતાં જોવા મળ્યા.
પહેલી વખત છે કે શપથવિધિ બાદ વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલ સામ-સામે થયા હતા. પણ આ વખતે પ્રોટોકોલ બદલાઈ ગયો હતો. આજે કેન્દ્ર સ્થાનમાં ભૂપેન્દ્ર પટેલ હતા.
પૂર્વ સીએમ વિજય રુપાણીએ સંબોધનમાં મોદી સરકારના વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળને યાદ કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ સુશાસન સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ રાજકોટ ખાતે આયોજિત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, દરેક પ્રજાલક્ષી સેવાઓ – યોજનાઓનો લાભ તુરંત રાજ્યના નાગરિકોને પ્રાપ્ત થાય અને પ્રજાની તમામ અપેક્ષાઓ, આકાંક્ષા અને સ્વપ્નાઓ રાજ્ય સરકાર સાકાર કરે એટલે ગુડ ગવર્નન્સ. જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. આપણા દેશને સ્વરાજ મળ્યું પરંતુ સુરાજ્ય નહોતું મળ્યું. દેશમાં સુરાજ્ય પ્રસ્થાપિત કરવાની યાત્રા પૂર્વ વડાપ્રધાન સ્વ. વાજપેયીજીએ શરૂ કરી સુરાજ્યનો પાયો નાંખ્યો જેને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં પુરજોશથી આગળ ધપાવી રહ્યા છે.
પૂર્વ સીએમ રુપાણીએ અટલજીની આ કવિતા સંભળાવી…
બાધાયેં આતી હૈ આયેં
ઘિરેં પ્રલય કી ઘોર ઘટાયેં
પાંવો કે નીચે અંગારે,
સિર પર બરસેં યદિ જવાલાયેં
નિજ હાથોં સે હંસતે-હંસતે
આગ લગાકર જલના હોગા
કદમ મિલાકર ચલના હોગા
પૂર્વ સીએમ રૂપાણીએ કહ્યું કે, અટલજીએ સમગ્ર દેશના જન હૃદયમાં રાજનેતા તરીકે સ્થાન મેળવ્યું છે. અગાઉ સરકારો ચાલી, પરંતુ દેશ ન ચાલ્યો. ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ ઠેર ની ઠેર રહી હતી. ગરીબ દેશ તરીકેની છાપ કલંકરૂપ હતી. જે છાપને સુશાસન થકી હટાવવામાં સફળતા મળી છે. એમાં પણ ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ તબક્કે તેમણે સત્તાને સેવાના સાધન તરીકે ઉપયોગ કરી અંત્યોદય વિકાસ માટે સરકારને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.