વઢવાણ બેઠક માટે પોતાને પ્રબળ દાવેદાર ગણતા આઈ.કે. જાડેજાને ટિકિટ ન મળતાં તેમના સમર્થકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. મહત્વનું છે કે, વઢવાણ બેઠક પરથી બે ટર્મના સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપીને ધનજીભાઈ પટેલને ટિકિટ અપાઈ હતી. આઈ.કે. જાડેજાનું નામ વઢવાણ બેઠક પરથી ફાઈનલ મનાતું હતું, તેમણે પોતે પણ તેના માટેની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. જોકે, યાદીમાં તેમનું નામ ન આવતા નારાજ સમર્થકો જાડેજાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, વઢવાણના તમામ સમાજના આગેવાનો ઈચ્છતા હતા કે હું ચૂંટણી લડું, પરંતુ બહારના ઉમેદવારને ટિકિટ અપાતા કાર્યકરો અને સ્થાનિકો નારાજ છે.
સૌરાષ્ટ્રમાં પણ વિરોધના સૂર તેજ થવા લાગ્યા છે. મહુવા, જસદણ અને અમરેલીના ઉમેદવારોને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવાના મ્યુનિસિપલ કાઉન્સિલર બીપિન સંઘવીએ BJPમાં વારંવાર ઉપેક્ષા થતી હોવાનું જણાવીને પક્ષનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘હું છેલ્લી ચાર ચૂંટણીઓથી ટિકિટની માંગણી કરી રહ્યો છું. પરંતુ હંમેશા મારી ઉપેક્ષા જ કરાઈ છે. આજે મારો પક્ષ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તેથી હું રાજીનામું આપું છું.’
ભાજપના રાજકોટ જિલ્લાના કારોબારી સભ્ય ગજેન્દ્ર રામાણીએ પક્ષના ઉમેદવાર ભરત બોઘરાના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ જલ્દી જ કોંગ્રેસ સાથે હાથ મિલાવી લેશે. તેમણે કહ્યું હતું કે, ‘હું પાર્ટી સાથે છેલ્લા 40 વર્ષથી કામ કરી રહ્યો છું. પરંતુ મને ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી.’ એક સમયે નરેન્દ્ર મોદીના ટીકાકાર બાવકુ ઉઘડને ટિકિટ અપાતા પક્ષના અન્ય કાર્યકરોમાં રોષ છે. અમરેલી નજીકના કમીગઢ ગામમાં પક્ષના 30 કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષ સાથે હાથ મિલાવી લીધો હતો.
પાદરા સીટ પરથી ત્રીજી વખત ચૂંટાઈ આવવાનું સપનું જોઈ રહેલા દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને ફરીવાર ઉમેદવાર બનાવવામા આવતા વડોદરા જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા કમલેશ પરમારે પક્ષમાંથી રાજીનામું આપી. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.