ઓરિસાના ગંજમ જિલ્લાના ગોપુરપુર ગામની છ મહિલાઓ બીમારીના કારણે મરણ પામી પરંતુ એમને કાલા જાદુથી મારી નાખવામાં આવી છે એવા શક પરથી ગામના છ વૃદ્ધોના દાંત તોડી નાખીને એમને મળ-મૂત્ર ખાવાની ફરજ પાડવામાં આવી હોવાનું પોલીસે બુધવારે કહ્યું હતું.
છ મહિલા મરણ પામી અને બીજી સાત બીમાર હતી ત્યારે એવી અફવા ફેલાઇ હતી કે ગામના અમુક છ વૃદ્ધો કાલા જાદુ કરી રહ્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આ મંગળવારે આ છ વડીલોને મારપીટ કરીને તેમના દાંત તોડી પાડ્યા હતા અને ત્યારબાદ તેમને મળ-મૂત્ર ખાવાની ફરજ પડાઇ હતી. છએ વડીલોને બળજબરીથી ઘરની બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા.
આ લોકોએ બચાવો બચાવોની બૂમો પાડી હતી પરંતુ ગામમાંથી કોઇ તેમને બચાવવા આગળ આવ્યું નહોતું. કોઇ રીતે આ સમાચાર જિલ્લા વડા મથકે પહોંચતાં પોલીસ ટુકડી તરત ત્યાં દોડી ગઇ હતી અને છએ છ વૃદ્ધોને બચાવી લીધા હતા. જો કે ત્યાં સુધીમાં જે થવાનું હતું તે તો થઇ ચૂક્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર બ્રિજેશ રાયે મિડિયાને કહ્યું હતું કે આ સંદર્ભમાં અમે 22 મહિલા સહિત કુલ29 વ્યક્તિની ધરપકડ કરી હતી. છએ છ વડીલો 60 વર્ષની વધુ વયના છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસે વધુમાં કહ્યું કે અમારી પાસે આ ઘટનામાં સંડોવાયેલા બીજા કેટલાક લોકોનાં નામ પણ છે. કેટલાક લોકો નાસી ગયા છે. અમે તેમની તલાશમાં છીએ. આ ઘટનામાં અમે તમામ જવાબદારો સામે પગલાં લેવાના છીએ. હૉસ્પિટલનાં સૂત્રોએ કહ્યું કે છએ છ વ્યક્તિની તબિયત સ્થિર છે.