રીના બ્રહ્મભટ્ટ
જી હા, ચુંટણી નજીક આવતા જ મોટાપાયે તોડફોડનો મહાવરો ધરાવનારા વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સહિતના વિવિધ ક્ષેત્રે મોરચો સંભાળવાની મોટી લેવાલી નીકળી છે, ઇલેકશનનો સમય જ એવો છે કે આવા પંચાતિઆઓનો મોટો ભાવ બોલાય છે. પાંચમાં પુછાતા આવા પંચાતીયાઓ પોતાના હાથમાં આટલા મત છે ને પોતાની સાથે આટલા લોકો તેમ ગાઈ વગાડીને કહીને નબળા ઉમેદવારોને પોતાની લપેટમાં લેતા હોય છે.
કેટલાક તો જાતે જ ઉમેદવાર બનીને જ તે પક્ષના ઉમેદવાર પાસે સોદાબાજી કરવા પહોચી જાય છે, જો ભાઈ હું અપક્ષ તરીકે ઉભો રહીશ તો સામેવાળા ઉમેદવારના આટલા મત તોડી નાખીશ અને તેની હારની શક્યતા વધારી દઈને તમને મોટો ફાયદો કરવી આપીશ, તમે મારી સાથે બેસીને સમજી લો અને ઉમેદવારને પણ આવા કેટલાક નમૂનાઓની જરૂર હોય છે તેથી તે પણ ઘરે બેઠા આવેલી ગંગામાં હાથ ધોવા માટે તત્પર થઇ જાય છે.
અને હા એ વાત પણ એટલી જ સાચી છે કે કેટલીકવાર આવા પૂંછડીયા અપક્ષ ઉમેદવારો સમગ્ર બેઠકનું પરિણામ બદલી નાખવામાં પણ જવાબદાર સાબિત થતા હોય છે અને માત્ર હજાર બે હજાર કે તેનાથી પણ ઓછા મતે જે તે બેઠકનો ઉમેદવાર વિજેતા ઘોષિત થઇ જતો હોય છે. તેના કરને જ આવા અપક્ષોના ઊંચા ભાવો બોલી જતા હોય છે. સમય વર્તે સૌ સાવધાન .