લોક ડાઉનને કારણે ઘરે બેસેલા અનેક લોકો આજકાલ ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસને લગતી માહિતી સર્ચ કરી રહ્યા છે. જોકે તેની વિપરીત અસર લોકો પર થઈ રહી છે. રોજબરોજ આ પ્રકારની માહિતી સર્ચ કરવાથી લોકો એક પ્રકારનો ભય અનુભવી રહ્યા છે. જેને કારણે લોકોનાં વર્તન બદલાયાં છે અને હવે તો હું જીવવાનો જ નથી, તેવા અભિગમ સાથે તેઓ મનફાવે તેમ કરી રહ્યા છે. આડકતરી રીતે તેમની અને તેમના પરિવારજનોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. આવા સમયે ડોક્ટર દ્વારા કોરોના વિશેની માહિતી એકઠી ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી સમયે લોકો દ્વારા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરથી સાચી-ખોટી માહિતી એકત્રિત કરતા હોય છે. આવા લોકો જ્યારે ડોક્ટરનો સંપર્ક કરે ત્યારે અપૂરતી માહિતીના કારણે જાતે ગૂંચવાયેલા રહે છે અને ડોક્ટરને પણ ગૂંચવણમાં નાખે છે. ડોક્ટર દ્વારા દર્દીને રોગના લક્ષણ પ્રમાણે સારવાર અપાતી હોય છે. ડોક્ટર દ્વારા અપાતી સલાહને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી સાથે સરખામણી કર્યા વગર અનુસરવું જોઇએ.
Tuesday, May 21