ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળ્યા બાદ કોંગ્રેસ પોતાનું ઘર સરખું કરવામાં લાગી ગઈ છે. નવા વર્ષના પ્રથમ મહિનામાં જ ગુજરાત કોંગ્રેસના નવા હોદ્દેદારોની વરણી થવાની છે સાથો સાથ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંક કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. સમીકરણોની ગોઠવણમાં કોંગ્રેસ કેટલાક જૂના જોગીઓને ફરીથી કોંગ્રેસ માટે સક્રીય કરવાનું આયોજન કરી રહી છે અને આમાં એક નામ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાનું પણ આવે છે.
શંકરસિંહ વાઘેલા લાગલગાટ વર્ષો સુધી કોંગ્રેસમાં વિધાનસભાના વિપક્ષી નેતા રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. બાદમાં કેન્દ્રમાં ટેક્સટાઈલ મંત્રી તરીકે જોવા મળ્યા હતા. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે પ્રોમીસ આપ્યું હતું કે મારો વોટ અહેમદ પટેલને જશે પણ એવું થયું નહીં અને બાપુનો વોટ ક્યાં ગયો એ બાપુ જ જાણે. આ ઘટના બાદ બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, એનસીપીમાં ગયા, ત્યાર બાદ પોતાની પાર્ટીઓ બનાવી અને પછડાયા. હવે નવેસરથી બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી કરાવવાની વાતો ચાલી રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નહીં બન્યા ત્યારે જગદીશ ઠાકોરે સમાજની સભામાં ત્રણ ક્ષત્રિયોની સરકારવાળી વાત કરી હતી. આ ત્રણ ક્ષત્રિય નેતાઓમાં ભરતસિંહ, શંકરસિંહ અને અમિત ચાવડાના નામનો ઉલ્લેખ કર્યો હતો. જોવાની ખૂબી એ છે કે બાપુ કોંગ્રેસમાં ન હતા તોય જગદીશ ઠાકોરે તેમને કોંગ્રેસી કહ્યા હતા તે સૂચક છે. બાદમાં ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે મુલાકાત કરી અને પરામર્શ કર્યો હતો.
બાપુ કોંગ્રેસમાં આવવા તૈયાર છે, ગુજરાત કોંગ્રેસ પણ બાપુને આવકારવા તૈયાર છે પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હજુ પણ લીલીઝંડી આપવામાં આવી રહી નથી. એની પાછળના કારણોમાં સૌથી મોટું કારણ વિશ્વાસ છે. બાપુએ કોંગ્રેસ હાઈકમાન્ડનો વિશ્વાસ ગૂમાવ્યો છે અને હવે આસાનીનથી કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુ પર વિશ્વાસ મૂકી શકે એમ નથી, એવું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. જોકે, કોંગ્રેસના સૂત્રો એવી પણ દલીલ કરી રહ્યા છે કે એક વખત કુંવરજી બાવળીયાએ એવું કહ્યું હતું કે મોદીના નામે વોટનું બટન દબાવું તો મારી આંગળી કાપી નાંખજો અને એ જ બાવળીયા ભાજપમાં જોડાતાં જ મંત્રી બની જાય તો બાપુ માટે સ્થિતિ અઘરી નથી.
બીજો દાખલો અલ્પેશ ઠાકોરનો છે. અલ્પેશ ઠાકોરે પણ મોદી સરકારની આકરી ટીકાઓ કરી હતી અને કેટલીક વખત પીએમ મોદી પર પર્સનલ અટેક પણ કર્યા હતા છતાં ભાજપે તેમને સ્વીકાર્યા અને ટીકીટ પણ આપી. તો પછી કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા માટે વિશ્વાસ જેવી વાતનો મુદ્દો બનાવે તે રાજનીતિમાં ચાલે એમ નથી. બાપુ 17 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા હતા એ વાત પણ કોંગ્રેસ હાઈકમાન્ડે ભૂલવી ન જોઈએ.
શંકરસિંહની કોંગ્રેસ એન્ટ્રીથી ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં કોંગ્રેસ મજબૂત થઈ શકે એમ છે. બાપુ પોતે સંગઠનનનાં માણસ છે અને આજે પણ તેમની પકડ છે. અહેમદ પટેલની ચૂંટણી ટાણે તેમની પકડ જોવા મળી હતી. જોઈએ કોંગ્રેસ બાપુ અંગે ક્યારે અને કેવો નિર્ણય કરે છે.