નવા પ્રમુખ અને નવા વિપક્ષ નેતા મળ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખાસ કરીને ચાર મહાનગરોમાં સંગઠનને વેગવંતુ કરવાની દિશામાં શરુઆત કરી છે. હવે કોંગ્રેસ દ્વારા એવી ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે કે રાજ્યના ચાર મહાનગરોમાં પ્રમુખની સાથે બે કાર્યકારી પ્રમુખની પણ નિમણૂંક કરવામાં આવશે.
મહાનગરોમાં કોંગ્રેસની સ્થિતિ સાવ જ કથળી ગયેલી છે. કોંગ્રેસની નેતાગીરી દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રમુખની સાથે કાર્યકારી પ્રમુખની વરણી કરવાની ફોર્મ્યુલા લાગુ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જાતિ અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે અને કોંગ્રેસના સંગઠનનને મજબૂતી આપે તેવા નેતાઓની પસંદગી કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ આ માટે ઉંમરના ક્રાઈટેરીયાને પણ લાગુ કરાશે. મહાનગરોમાં એક અથવા બે વખત પ્રમુખ બન્યા હોય તેવા લોકોને પ્રમુખ બનાવવામાં નહીં અને નો રિપીટ ફોર્મ્યુલા લાગુ કરાશે અને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. ગુજરાત પ્રદેશના પ્રમુખ અને વિપક્ષ નેતાની વરણીમાં કોંગ્રેસે નોરિપીટ ફોર્મ્યુલા અપનાવી છે અને ફોર્મ્યુલાને મહાનગરો અને જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે.