રીના બ્રહ્મભટ્ટ
કોંગ્રેસ નવસર્જન યાત્રાની જેમ સાચે ન એના નવસર્જન કરવાના મનસૂબા સાથે ગુજરાતના મેદાનમાં ઉતરી છે. અને બગાસું ખાતા પતાસું મળ્યું હોય એમ જીએસટી, નોટબંધી, પટેલ અનામત, ઓબીસી નેતાનો સાથ સાથે અને લોકોના આક્રોશને વટાવવા કમર કસીને મેદાનમાં ઉતરી છે. ત્યારે એક વાત તો છે કે, રાહુલ બાબાએ આ વખતે બરાબર ચિંતન કર્યું છે. અને કહેવાય છે કે, કોઈ દિગ્ગજની સલાહ મુજબ વાણી, વર્તન અને વલણને બદલી એક નવા જ મિજાજ સાથે મેદાનમાં ઉતર્યા છે. જો કે, એમને કરેલ ચિંતનમાં એમને એક બાબતની નોંધ લીધી છે કે, તેમણે મોદીને નશ્યત કરવા મોદીના પગલે મોદીનો રાગ આલાપીને જ ચાલવું પડશે.અને એટલે જ એમને આ વખતે કોંગ્રેસના ઇતિહાસથી તદ્દન વિરુદ્ધપણે એમની પરંપરાગત સ્ટાઇલમાં ધરમૂળથી અલગ રીતે હિન્દુઓના આસ્થા સમાં મંદિરોની મુલાકાતથી એમના દરેક પ્રવાસની શરૂઆત કરી છે. દ્વારકા, ફાગવેલ, ચોટીલા, સંતરામ મંદિરની મુલાકાત લઇ એમને હિન્દુઓની લાગણીઓ પંપાળવાનું કામ કર્યું છે.
ત્યારે એમના આ બદલાયેલા વર્તનથી હિંદુઓમાં તો ચર્ચા છે જ પણમુસ્લિમો કે જે આઝાદી બાદથી જ કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક રહી છે તેઓ આ મુદ્દે સ્તબ્ધ છે. નારાજ છે. કેમ કે, કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વાર તેવું જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસે લઘુમતી તરફ ખાસ ધ્યાન આપ્યું નથી. કોઈ મસ્જિદમાં ગયા નથી કે ના તો રાહુલ કોઈ ધર્મગુરુને મળ્યા છે. ત્યારે સ્વાભાવિકપણે બદલાતા વહેણમાં હાથ ધોવાની આ ચેસ્ટા જોઈ ખાસ તો મુસ્લિમોનું નારાજ થવું સ્વાભાવિક છે। કેમ કે, પાછલા કેટલાય લાંબા સમયથી કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ અપનાવી મુસ્લિમ મત બેન્કને હાથ પાર રાખી છે. પરંતુ કોંગ્રેસ ની કોઈ નીતિથી મુસ્લિમોને કોઈ ખાસ ફાયદો થયો નથી. મુસ્લિમોનો મોટો વર્ગ આજે પણ ગરીબી અને બેકારી સામે જજુમી રહ્યો છે. ત્યારે મુસ્લિમો પણ સમજી ચુક્યા છે કે તેઓ કોંગ્રેસ માટે કેવળ એક મત બેન્ક જ છે. અને આની અસર 2019 ની લોકસભાની ચૂંટણીઓ પર પડવાની પુરી સંભાવના છે.
વેલ, વિશેષમાં અગાઉ આ પ્રકારે ધર્મના નામે ચૂંટણી લડાતી નોતી, પરંતુ કોંગ્રેસે લઘુમતી, ઓબીસી અને દલિત તુષ્ટિકરણની આખી એક રીત કોંગ્રેસની દેન છે.
અને ખાસ તો કોંગ્રેસ લઘુમતીનું તુષ્ટિકરણ કરીને સત્તામાં આવતો રહ્યો છે. દરેક મુદ્દાને ધાર્મિક રંગ આપવાની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી. અને એની આ નીતિના લીધે ભૂતકાળમાં કોઈ પાર્ટી ખાસ ફાવી નથી.ભાજપનું તો સાવ નામો નિશાન પણ નોતું.અને દેશે કેટલાય વર્ષ સુધી સતત એકચક્રી શાસન જોયું છે. બાકી 1962 માં જનસંઘે માત્ર 26 ઉમેદવાર જ ઉતાર્યા હતા. અને એને ફક્ત 1.4 @ જ વોટ મળ્યા હતા. પરંતુ છેક 1990 માં લાલ કૃષ્ણ અડવાણી એ સોમનાથથી રથયાત્રા શરુ કરી અયોધ્યા રથયાત્રા કાઢી ત્યારે દેશભરમાં જોરદાર હિન્દુત્વની લહેર ઉભી થઇ હતી. અને ત્યારબાદ 1992 માં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાઈ ત્યારબાદ ભારે તોફાનો થયા અને ભાજપને હિંદુત્વના આધારે મત માંગવાની તક મળી ગઈ. ત્યારબાદ 1995માં આવેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182 માંથી 121 સીટો મળતા ભાજપ સત્તાના ગલિયારોમાં 22 વર્ષ સુધી એનું શાસન જાળવી શક્યું છે.
ત્યારે મતલબ સાફ છે કે, કોંગ્રેસે ભાજપને ચૂંટણીઓમાં તુષ્ટિકરણની નીતિ શીખવી છે. અને એનો જ લાભ લઇ ભાજપ સત્તામાં છવાઈ ગયું.અને આજે ફરી સ્થિતિ તે પેદા થઇ છે કે, કોંગ્રેસે સત્તા મેળવવા ભાજપ ની જ રાહ પર ચાલવું શરુ કર્યું છે. ત્યારે ખરેખર તો કોઈપણ દેશના વિકાસ માટે જાતિ કે ધર્મ નહિ બલ્કે વિકાસ જ મુદ્દો હોવો જોઈએ.પરંતુ કેટલાક ખોટા નિર્ણયોએ વિકાસને પાગલ કર્યો અને એટલે આજે ફરી એકવાર જાતિવાદ ઉભર્યો છે..