ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ વિવાદોમાં ઘેરાઇ ગયો છે. જોધપુરની એક નીચલી કોર્ટમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો ભારતીય બંધારણના નિર્માતા બીઆર આંબેડકર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવા સંબંધે છે.
આ મામલે ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ જોધપુરની કોર્ટમાં SC-ST ઍક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે પંડ્યા પર FIR નોંધવાનો આદેશ આપ્યો છે. પંડ્યા પર FIR નોંધાવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડી.આર. મેઘવાલે જણાવ્યું કે ક્રિકેટ ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડાક મહિના પહેલા Twitter પર એક પોસ્ટ નાખીને બી.આર. આંબેડકર વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. મેઘવાલે કહ્યું કે આ પહેલા લૂણી પોલીસ-સ્ટેશનમાં FIR કરાવવા માટે ગયા હતા, પરંતુ ત્યાંના ઇન્સ્પેક્ટરે તેને નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.