ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરે ચાર્જ લીધો ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ ઉપરાંત સીઆર પાટીલ અને ગુજરાત સરકારના સનદી અધિકારી કે,કૈલાશનાથન પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ સીઆર પાટીલ પર રાજકીય હૂમલો કરતાં કહ્યું ગુજરાતમાં સીઆર પાટીલ દાદાગીરીથી વહીવટ ચલાવે છે. આવી રીતનો વહીવટ હવે ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે અગાઉ આનંદીબેન પટેલ હતા. હાર્દિક પટેલ અને સાથીઓએ આંદોલન કર્યું અને 23-23 જિલ્લા પંચાયતોમાં જીતી. વાતાવરણ બદલાયું એટલે આનંદીબેનને કાઢ્યા અને વિજય રુપાણીને લઈ આવ્યા. કોરોનામાં નિષ્ફળ ગયા તો વિજય રુપાણીને પણ કાઢ્યા અને એમના સર્વમાં લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી હારશે તો એમને પણ કાઢ્યા અને ભૂપેન્દ્ર પટેલને લઈ આવ્યા. વિજય રુપાણી રબર સ્ટેમ્પ હતા અને હવે વધુ એક રબર સ્ટેમ્પ આવ્યા.
તેમણે કહ્યું કે પહેલા બે તો હતા હવે ગુજરાતમાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સટેબલ દાદાગીરીથી ગુજરાતમાં વહીવટ ચલાવે છે. ભૂપેન્દ્ર પટેલને પૂછો કે સીઆર પાટીલને પૂછ્યા વિના એક પણ મામલતદારની બદલી કરી શકો ખરા. હોમ મિનિસ્ટરને પૂછો તો સીઆર પાટીલને પૂછો, એવું કહે છે.
તેમણે આગળ કહ્યું કે મરાઠી છે, મહારાષ્ટ્રમાં રાજ કરે, એ બધું બરોબર છે, પણ ગુજરાતમાં એમનું શું કામ છે? આ તો ગુજરાત છે. ગાંધી અને સરદારનું ગુજરાત છે. અહીંયા તો રાજ ચલાવવાવાળો ગુજરાતી જ જોઈએ. સીઆર પાટીલ તો ખરા જ પણ 2013માં રિટાયર થયેલા અધિકારી કૈલાશનાથન મુખ્યમંત્રીના ચીફ બનીને રાજ ચલાવે છે. આવા ગેરવહીટને જરા પણ ચલાવી લેવામા આવશે નહીં અને આના માટે કોંગ્રેસના કાર્યકરોએ સંગઠીત થઈને ઘરે ઘર, મહોલ્લે-મહોલ્લે જઈને પાર્ટીને મજબૂત કરવાની છે.