— કોંગ્રેસને માત્ર બે મત ખૂટતા હતા પરંતુ ભાજપ અને બીટીપીના ગઠબંધનના કારણે ભરતસિંહ સોલંકી માટે દિલ્હી જવાના દરવાજા બંધ, ભાજપની ચાણક્ય ચાલ સામે કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ ફેઇલ
ગાંધીનગર કોરોના સંક્રમણ સમયે ભાજપે મોટો જુગાર ખેલીને રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજી બેઠક મેળવવા માટેના શરૂ કરેલા મરણિયા પ્રયાસ આખરે સફળ થયાં છે. કોંગ્રેસના આઠ-આઠ ધારાસભ્યોના રાજીનામા અપાવ્યા પછી પણ પાર્ટી ટેન્શનમાં હતી છેવટે બીટીપીના બે ધારાસભ્યોને ઘરમાં રોકી રાખવામાં સફળતા મેળવી છે અને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને દિલ્હી લઇ જવાનો રસ્તો સાફ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યા પ્રમાણે ત્રણ બેઠકો અને કોંગ્રેસને એક બેઠક મળી છે.
રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસે ઉઠાવેલા બે મુદ્દાના કારણે મત ગણતરી અટકી ગઇ હતી જે ચાર કલાક પછી શરૂ કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચે વજૂદ નથી તેવું કહીને બે મુદ્દાઓ ફગાવી દીધા હતા તેથી ભાજપના ત્રણ ઉમેદવારોની જીત નિશ્ચિત બની છે. મતગણતરી પછી ચૂંટણીનું પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું છે જેમાં ત્રણ બેઠકો ભાજપને મળી છે અને એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યાં છે. મોડી સાંજથી આ ડ્રામા શરૂ થયો હતો છેવટે મોડી રાત્રે પૂર્ણ થયો હતો.
ગુજરાત કોંગ્રેસ પાસે જો બે ધારાસભ્યોનો ટેકો હોત તો પાર્ટીના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી ચૂંટણી જીતી ચૂક્યાં હોત પરંતુ ભારતીય ટ્રાયબલ પાર્ટીના પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવાએ આ વખતે ભાજપના સપોર્ટમાં રાજ્યસભામાં વોટીંગ કર્યું નથી, પરિણામે ભાજપના ત્રીજા ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે. વોટીંગના સમય ચાર વાગ્યા સુધી કોંગ્રેસના નેતાઓએ બીટીપીના ધારાસભ્યોની ચાતક નજરે રાહ જોઇ હતી પરંતુ બન્ને ધારાસભ્યો વિધાનસભામાં આવ્યા ન હતા. બીટીપીએ સવારથી જ જાહેર કર્યું હતું કે બન્ને પાર્ટીથી તેઓ નારાજ હોઇ મતદાનનો બહિષ્કાર કરશે.
ગુજરાત ભાજપને ડર હતો કે તેમના બે ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે પરંતુ ભાજપે તેમની જગ્યાએ બીજી વ્યક્તિનું એટલે કે પ્રોક્સી વોટીંગ કરાવીને તેમને અટકાવી દીધા હતા. માતરના ધારાસભ્યને કોંગ્રેસે તોડ્યા હતા પરંતુ તેમને બિમાર છે કહીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. બીજી તરફ પાર્ટીના મેન્ડેટ પ્રમાણે મત આપ્યો હોવાનો દાવો કરતાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક વાતાવરણ તો ત્યારે ઉભું થયું જ્યારે બીટીપીના છોટુ વસાવા ચૂંટણીનો સમય પૂર્ણ થવા આવ્યો ત્યાં સુધી તેઓ મતદાન કરવા આવ્યા નહીં.
વિધાનસભામાં 10 બેઠકો ખાલી છે. રાજ્યસભાના ત્રણ ઉમેદવારોને ભાજપના 103 અને એનસીપીના એક સભ્યનો મળીને કુલ 104 મતો મળ્યાં છે. બીટીપીએ મતદાન નહીં કરતાં રાજ્યસભામાં કુલ 170 સભ્યોનું મતદાન થયું છે. કોંગ્રેસ પાસે અપક્ષ જીજ્ઞેશ મેવાણી સહિત કુલ 66 ધારાસભ્યો હતા જેમણે મતદાન કર્યું છે. કોંગ્રેસની હાર માત્ર બે મતના કારણે થઇ છે, કારણ કે કોંગ્રેસને કુલ 68 ધારાસભ્યોની જરૂર હતી.
ગુજરાતમાંથી રાજ્યસભામાં ચાર સભ્યો જઇ રહ્યાં છે જેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમિલા બારા તેમજ નરહરિ અમીન છે જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જશે. કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી લીલા તોરણે પાછા આવ્યા છે. બીટીપીના બે સભ્યોએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો તે સમયે જ ભરતસિંહે હથિયાર હેઠાં મૂકી દીધા હતા.
ચૂંટણીમાં નામોશીભરી હાર પછી કોંગ્રેસના હવાતિયાં…
રાજ્યસભાની ચૂંટણીમાં નામોશીભરી હાર પછી કોંગ્રેસ હવે હવાતિયાં મારી રહી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં બે મુદ્દા ઉઠાવ્યા છે જેમાં ચૂંટણી આયોગે ફેસલો કરવાનો થાય છે. કોંગ્રેસની રજૂઆત છે કે કેસરીસિંહના પ્રોક્સી વોટીંગ વખતે અનધિકૃત વ્યક્તિએ બૂથની અંદર પ્રવેશ કર્યો હતો. જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના વિજય સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે છે તેથી તેમનો મત રિઝર્વ રાખવામાં આવે. જો કે હવે આ બન્ને લિગલ ફાઇટ છે પરંતુ રાજનીતિમાં એવું કહેવાય છે કે જો જીતા વહી સિકંદર… પાંચ વાગ્યે શરૂ થનારી મત ગણતરી આ બન્ને દાવાને કારણે ચાર કલાક સુધી વિલંબમાં પડી હતી પરંતુ ભારતના ચૂંટણી પંચે કોંગ્રેસના બે દાવાને ફગાવી દેતાં આખરે મગણતરી શરૂ થઇ હતી.
કોણ છે રાજ્યસભાના ચાર વિજેતા ચહેરા…
અભય ભારદ્વાજ- રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો., કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા. રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે. અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.
શક્તિસિંહ ગોહિલ- કોંગ્રેસે જે નામ જાહેર કર્યું છે તે હાલમાં બિહારના પ્રભારી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું છે. તેઓ 2014-2017માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ., બી.એસ.સી.નો અભ્યાસ કર્યો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડવીઓ ચૂંટણી લડ્યા હતા અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો.
રમિલા બારા- છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આદિવાસીના આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે ભાજપે રમિલા બારાની પસંદગી કરી છે. 65 વર્ષીય રમિલાબહેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં વતની છે અને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. બારા ભાજપમાંથી 2004માં ખેડબ્રહ્માની સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યાં હતાં અને વિજયી થયા હતા. ખેડબ્રહ્માની સીટ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી ત્યાંથી ચૂંટણી લડતા હતા.
નરહરિ અમીન- કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા નરહરિ અમીનને ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કહેવાય છે કે નરહરિ અમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કૂર્મી પાટીદારો સાથે ઘરોબો ધરાવે છે. અગાઉ વિધાનસભામાં ભાજપે નરહરિ અમીનને ટિકિટ આપી ન હતી પરંતુ રાજ્યસભાની ટિકીટ આપી છે. નરહરિ અમીન જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને સહકારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ હતું. જોકે 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યાં હતા. ચીમનભાઇ પટેલની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ ભોગવી ચૂક્યાં છે.
ગુજરાત રાજ્યસભાનું પરિણામ
અભય ભારદ્વાજ – 36
રમિલા બારા – 36
નરહરિ અમીન – 32, બે ટ્રાન્સફર
શક્તિસિંહ ગોહિલ – 36
ભરતસિંહ સોલંકી – 30
જીત માટે 34 મત જરૂરી હતા