મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સુરત મહાનગરપાલિકાનાં 200 કરોડથી વધુના પ્રોજેકટના લોકાપર્ણ અને ખાતમુહુર્ત ઉપરાંત તાપી પૂજન, સાયકલોથોન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ભાજપના તમામ નગર સેવકોને હાજર રહેવા આદેશ અપાયો હતો. એટલુ જ નહીં જે કોર્પોરેટર્સ હાજર રહ્યા હતાં તેમનું રજિસ્ટર પણ બનાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં ભાજપના ગેરહાજર રહેલા 26 નગરસેવકોની ગંભીર નોંધ લેવામાં આવી હતી તેમજ શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂતના માધ્યમથી ગેરહાજર રહેલા તમામ નગર સેવકોને નોટિસ ફટકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનું કારણ આપવા જણાવવામાં આવ્યું હતું. જે પૈકી હજી માત્ર 9 જ સભ્યોએ લેખિતમાં ખુલાસો આપ્યો છે. મોટા ભાગના સભ્યએ માંદગીનું કારણ રજુ કર્યું છે. જયારે બે સભ્યએ વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું બહાનું રજૂ કરી છટકબારી શોધી છે. અને એક સભ્યએ બાઈકમાં પચંર પડયું હોવાથી કાર્યક્રમ સ્થળે પહોચી શકાયુ નથી એવું જણાવ્યું હતું. ગેરહાજર રહેલા અમુક નગર સેવકોના ઘરે લગ્નપ્રસંગ કે જેન્યુન કારણો પણ હોવાનો જવાબ મળ્યા છે.
સુરતમાં 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ
સુરતમાં રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. અંદાજીત રૂ.64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો-દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ હતું.
આ ઉપરાંત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂ.133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડીબ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટરલાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.