મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટીના કેન્દ્રમાં રહેલા શિવસેનાના નેતા એકનાથ શિંદેએ એક સમયે પાર્ટીના કાર્યકર તરીકે રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી અને તેમની સંગઠનાત્મક કુશળતા અને જાહેર સમર્થનના બળ પર શિવસેનાના ટોચના નેતાઓમાંના એક બની ગયા હતા.શિંદે જેઓ એક સમયે મુંબઈની નજીકના થાણે શહેરમાં ઓટો ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યા પછી ટૂંકા ગાળામાં થાણે-પાલઘર પ્રદેશમાં એક અગ્રણી શિવસેના નેતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેઓ આક્રમક રીતે જાહેર મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે.
શિવસેનાના નેતા શિંદે, ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા, હાલમાં મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી (MVA) સરકારમાં શહેરી વિકાસ અને PWD વિભાગના પ્રધાનનો હવાલો સંભાળી રહ્યા છે. રાજ્યની રાજનીતિમાં તેમની સફળતા માટે તેઓ ઘણી વખત પાર્ટીના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો આભાર માને છે.9 ફેબ્રુઆરી, 1964ના રોજ જન્મેલા શિંદેએ સ્નાતકનું ભણતર પૂરું કરતાં પહેલાં જ ભણવાનું છોડી દીધું અને રાજ્યમાં ઉભરતી શિવસેનામાં જોડાયા.
મૂળ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વતની, શિંદેએ થાણે જિલ્લાને તેમનું કાર્યસ્થળ બનાવ્યું. પક્ષની હિંદુત્વ વિચારધારા અને બાળ ઠાકરેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને શિંદે શિવસેનામાં જોડાયા.શિંદે, થાણે શહેરની કોપરી-પંચપાખાડી બેઠકના ધારાસભ્ય, શેરીઓમાં ઉતરીને રાજકારણમાં સામેલ થવા માટે જાણીતા છે અને તેમના સામે શસ્ત્રો વડે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા અને રમખાણો સહિતના વિવિધ આરોપો પર ડઝનેક કેસ નોંધાયેલા છે.
કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે 1997માં ચૂંટાયા હતા
શિંદે 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તેઓ 2004ની વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. શિંદેના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને પાર્ટીના બીજા સૌથી મોટા નેતા તરીકે જોવામાં આવે છે. શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે કલ્યાણ બેઠક પરથી લોકસભાના સભ્ય છે. શિંદેને 2014 માં ટૂંકા ગાળા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.