નવી દિલ્હી : એક તરફ તોકતેના કારણે ગુજરાતના તેમજ અસરગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે ખેડૂતોના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં ડીએપી ફર્ટિલાઇઝરના એક બેગ પર હવે ખેડૂતોને 1200 રૂપિયાની છૂટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચેસ્તરીય બેઠકમાં ડીએપી ફર્ટિલાઇઝર પર આપવામાં આવતી સબસિડીમાં 140 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય પછી કેન્દ્ર સરકારને સબસિડીના 14,775 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ડીએપી ફર્ટિલાઇઝરના એક બેગ પર ખેડૂતોને 500 રૂપિયા છૂટ મળતી હતી.પ્રધાનમંત્રી મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફોરિક એસિડ, અમોનિયાની વધેલી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વધારાના મુદ્દે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો છતા ખેડૂતોને જૂની કિંમતો પર ખાતર મળવું જોઈએ. આ પછી ડીએપી ખાતરમાં સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી 140 ટકા વધારીને 1200 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આસાન રીતે સમજો તો હવે ખેડૂતોને ડીએપી ખાતર 1200 રૂપિયાની જૂની કિંમત પર જ મળશે. કિંમત વધારાનો બધો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે.
ડીએપી ખાતરના એક બેગની વાસ્તવિક કિંમત ગત વર્ષે 1700 રૂપિયા હતી. જેમાં કેન્દ્ર સરકાર 500 રૂપિયા પ્રતિ બેગ સબસિડી આપતી હતી. જેથી કંપનીઓ ખેડૂતોને 1200 રૂપિયા પ્રતિ બેગના હિસાબે વેચતી હતી. હાલમાં ડીએપીમાં ઉપયોગ થનાર ફોસ્ફોરિક એસિડ, એમોનિયાની આંતરરાષ્ટ્રીય કિંમત 60થી 70 ટકા સુધી વધી ગઇ છે.
સરકારના મતે ડીએપીના એક બેગની વાસ્તવિક કિંમત હવે 2400 રૂપિયા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્ર એ સુનિશ્ચિત કરવા માટે બધા પ્રયત્નો કરશે કે ખેડૂતોને મૂલ્ય કિંમત વધારાની અસર ન ભોગવવી પડે.