રર મી માર્ચ ના રોજ જળસંચય અને જળબચતની જાગૃતિ અર્થે ‘આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ’ ની ઉજવણી સંદર્ભે ઇન્ટેક (INTACH) રાજકોટ, ગુજરાત સરકારનું પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ તથા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજ, રાજકોટના સયુંક્ત ઉપક્રમે એક અનોખા કાર્યક્રમ ‘‘વારસાનું રક્ષણ-પાણીનું જતન’’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત પાણીના સંરક્ષણ, શુદ્ધિકરણ અને સંગ્રહની પરંપરાગત પદ્ધતિઓ અને તેની વર્તમાન સ્થિતિને સમજવા વીરપુરમાં આવેલ મીનળદેવી વાવ અને તેના જેવા જલમન્દીરને સમજવા દરેક સંસ્થાના લોકો એકત્રિત થશે. ઇન્ટેક (INTACH) રાજકોટ ના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહના જણાવ્યા મુજબ ત્યાં સફાઈ અભિયાન, વારસા ઉપરની ચર્ચા, ચિત્ર સ્પર્ધા, ફોટોગ્રાફી સહીત વિવિધ કાર્યક્રમો યોજાશે. ભૂસ્તરશાસ્ત્રી ડો. યોગેશ જાડેજા પાણી સંરક્ષણ, શુદ્ધિકરણ અને સંગ્રહની પરંપરાગત પધ્ધતિઓ સમજાવશે. ‘આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ’ નિમિત્તે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુએ તેમનું મંતવ્ય આપતા જણાવ્યું છે કે, ભારત માં આઝાદી કા અમૃત મહોત્સવ અને G 20 મીટ અંતર્ગત પણ આવા કાર્યક્રમો અને લોકોને જોડવાના પ્રયાસ ખુબ જરૂરી છે. વીરપુરની જાહેર જનતાને આ કાર્યક્રમમાં જોડાવા નિમંત્રણ છે.
Tuesday, May 21