વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે મોટો પડકાર વધુમાં વધુ એમઓયુ કરવાનો છે. મોદી, આનંદીબેન અને રુપાણી સરકાર વખતના એમઓયુ કરતાં પણ ઓછા એમઓયુ થાય તો આ સરકારને જરાય પોષાય એમ નથી. નવા મૂડી રોકાણના એમઓયુ અંગે સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
વાઈબ્રન્ટના નજીકના ઈતિહાસ પર નજર કરીએ તો મોદી શાસનમાં 30 લાખ કરોડ કરતાં પણ વધારાના એમઓયુ થયા હતા. આનંદીબેનના સમયમાં 25 લાખ કરોડના થયા હતા તો રુપાણી સરકાર વખતે 30 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આજદિન સુધીની વાત કરીએ કે સવા લાખ કરોડનાં એમઓયુ થયા હોવાનું જાણવા મળે છે.
નવા મૂડી રોકાણના મોટા આંકડા માટે સરકાર દ્વારા લાગલગાટ પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બિગ મેજિક ફિગર સુધી પહોંચવા માટે ગુજરાત સરકારનાં નવનેજા પાણી થઈ રહ્યા છે. સૂત્રો કહે છે કે સરકાર મોટા આંકડાની માયાજાળને આંબવા માટે ઉંધા માથે જોવા મળી રહી છે. નવા એમઓયુમાં મૂડી રોકાણને લઈ હજુ પણ હાલત સાવ નબળી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
મહત્વની વાત એ છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગયા અઠવાડિયે રોડ શો કરીને એક જ દિવસમાં એક લાખ કરોડ રુપિયાના એમઓયુ કરી દીધા હતા. રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા એમઓયુને લઈ ઝડપી નિર્ણય કરવામાં આવતા ગુજરાતમાંથી મોટા રોકાણો બન્ને બિનભાજપી રાજ્યોમાં પગ કરી ગયા છે. દિલ્હી હાઈકમાન્ડ દ્વારા આની નોંધ લેવામાં આવી રહી છે.
વાઈબ્રન્ટ સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે કે નવા એમઓયુ માટ સરકાર દ્વારા નાના-મોટા તમામ ઉદ્યોગો સમક્ષ ખોળો પાથરવામાં આવ્યો છે. અધિકારીઓને ટાસ્ક આપી દેવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે પણ એમઓયુ થાય તેના માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
કોરોનાનાં કારણે આમ તો વાઈબ્રન્ટ સમિટને ટુંકાવવાની ચર્ચા ચાલી રહી છે અને કોરોનાની ક્વોરોન્ટાઈન ગાઈડલાઈનનાં કારણે કેટલાક દેશો વર્ય્યુઅલી સમિટમાં ભાગ લેવાનાં છે. જો મોટા આંકડાની માયાજાળને સરકાર નહીં આંબે તો સીધી રીતે આના માટે કોરોનાને જવાબદાર ઠેરવવામાં આવશે એવી ગણતરીઓ પણ મૂકવામાં આવી રહી છે. વાઈબ્રન્ટને નબળા પ્રતિસાદ માટે કોરોનાને જવાબદાર ઠેરવવામાં આવે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. કોરોનાનાં કારણે ઉદ્યોગકારોએ ગુજરાતમાં મૂડી રોકાણના એમઓયુ નહીં કર્યા એવું કારણ પણ દર્શાવવામાં આવી શકે છે પણ જે પ્રકારે રાજસ્થાન સરકાર એક લાખ કરોડના એમઓયુ આ કોરોનાનાં સમયમાં કરી ગઈ છે તેના કારણે ગુજરાત સરકારનું કોરોનાનુું બહાનું ભાજપ હાઈકમાન્ડ સમક્ષ ચાલશે કે કેમ તે એક પ્રશ્ન બની રહેવાનો ચે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વાઈબ્રન્ટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થાય તેના માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રીનો રોડ શો છે અને રોડ શો દરમિયાન તેઓ રાજકોટનાં ઉદ્યોગકારોને મળવાના છે ત્યારે સરકારના સૂત્રોને આશા છે કે વાઈબ્રન્ટ સમિટ માટે મોટા એમઓયુ થવાની શક્યતા છે.