નવી દિલ્હી : જો તમે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના ગ્રાહક છો, તો જાણી લો કે 1 ડિસેમ્બરથી પીએનબી એટીએમ દ્વારા પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીએનબીએ એટીએમમાંથી ઉપાડ વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફાર કર્યો છે.
1 ડિસેમ્બરથી સાંજે 8 થી સવારે 8 વાગ્યા દરમિયાન, ગ્રાહકોને હવે પીએનબી 2.0 એટીએમથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા ઓટીપીની જરૂર પડશે. આ ઓટીપી ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
રાત્રિના સમયે ઓટીપી આધારિત રોકડ ઉપાડની આ સિસ્ટમ ફક્ત પીએનબી 2.0 એટીએમ પર લાગુ થશે. એટલે કે, અન્ય બેંકના એટીએમમાંથી પીએનબી ડેબિટ / એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે ઓટીપી આધારિત કેશ ઉપાડની સિસ્ટમ લાગુ થશે નહીં.
Save the dates!
PNB 2.0 is launching OTP based cash withdrawals from 1st December 2020.
Making withdrawals easy, banking easier. pic.twitter.com/EsuXJvSTM3— Punjab National Bank (@pnbindia) November 26, 2020
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી) ને પીએનબીમાં મર્જ કરવામાં આવ્યા છે. આ મર્જર 1 એપ્રિલ 2020 થી અમલમાં આવ્યું. તેમની સાથે જોડાઈને રચાયેલી નવી સંસ્થાનું નામ પી.એન.બી. 2.0 રાખવામાં આવ્યું છે.
અગાઉ, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એસબીઆઈના એટીએમ પર 1 જાન્યુઆરી 2020 થી સાંજે 8 થી સવારે 8 દરમિયાન, 10,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે ઓટીપી આધારિત રોકડ ઉપાડનો અમલ કર્યો હતો. બાદમાં સપ્ટેમ્બરમાં, એસબીઆઇએ ઓટીપી આધારિત એટીએમ ઉપાડ સિસ્ટમ 24 × 7 લાગુ કરી.