મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક પરિવાર દ્વારા દુઃખની ઘડીએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામાં આવી હતી.
જામનગરના ઓશવાળ સેન્ટર નજીકના વિસ્તારમાં રહેતા અને સદી વટાવી ચૂકેલા 109 વર્ષની વયના વયો વૃદ્ધનું અવસાન થતા તેઓની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા આજે બેન્ડ વાજા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. બાઘાભાઈ અવસાન પામતા પહેલા પરિવારજનોને જણાવ્યું હતું કે, પોતાના લગ્ન સમયે જે ખુશી તે મનાવી ન શક્યા, માટે હવે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમયાત્રા એક લગ્નમાં જે રીતે ઉજવણી થતી હોય તેમ બેન્ડવાજા સાથે વાજતે-ગાજતે કાઢવામાં આવે. તેમની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનો દ્વારા 109 વર્ષના વૃદ્ધની અંતિમયાત્રા સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.
મૃતકના પરિવારજનો આજે સવારે 10.30 વાગે બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, સાત રસ્તાથી ઈન્દિરા માર્ગ, ગૂરૂદ્વારા ચોકડી, અંબર ચોકડી અને નાગનાથ ગેઈટ સર્કલ થઈ જામનગરના આદર્શ સ્મશાને પહોંચી ત્યાં તેઓની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, સ્મશાન યાત્રાના સમગ્ર માર્ગ પર પરિવારજનો દ્વારા બેન્ડ પાર્ટીની મદદથી વાજતે ગાજતે અંતિમ વિદાય માટે લઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ રૂપિયા પણ ઉડાવ્યા હતા અને સદી વટાવી ચૂકેલા વયોવૃદ્ધની તમામ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી.