જામનગર નજીક કાલાવડ રોડ પર ચાલુ બસમાં થયેલી યુવકની હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરંતુ સમગ્ર ઘટનામાં મૃતક યુવકે બિલકુલ સામાન્ય લાગતી ઘટનામાં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક હિતેશ પંડ્યા તેમની ભત્રીજીઓ સાથે જામનગરથી બસ મારફતે કાલાવડ જઇ રહ્યા હતા. આ દરમ્યાન બસ કાલાવડ તરફ આગળ વધી રહી હતી ત્યારે એક શખ્સ ચાલુ બસમાં આંટાફેરા કરવા લાગ્યો. આ સમયે જ હિતેશને ફોન આવતા તેઓ વાતે વળગ્યા.જેથી આંટાફેરા કરનાર શખ્શને હિતેશે પોલીસને ફોન કર્યો હોવાની શંકા થઇ. જે તદ્દન પાયાવિહોણી હતી. આ શખ્સે હિતેશ સાથે ઝઘડો શરૂ કર્યો અને વાત ઝપાઝપી સુધી પહોંચી. પરંતુ જોતજોતામાં આરોપીએ હિતેશ પર ઉપરાઉપરી છરીના ઘા કરી હુમલો કરતા તેમનું બસમાં જ મોત નિપજ્યું. જો કે બસમાં સવાર અન્ય મુસાફરોએ આરોપીને ઝડપી પોલીસને સોંપી દીધો. પોલીસની પૂછપરછમાં આરોપીનું નામ જયદીપસિંહ વાઘેલા હોવાનું અને તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
Wednesday, May 29