બિહારના ભાગલપુરના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગોપાલ મંડલનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. તે ક્યારેક ટ્રેનમાં અર્ધ નગ્ન ફરવા માટે તો ક્યારેક બાર ડાન્સર્સ સાથે ડાન્સ કરવાને કારણે ચર્ચામાં રહ્યા છે. આ સાથે જ થોડા સમય પહેલા ધારાસભ્ય મંડલ જમીન વિવાદમાં ફાયરિંગના કેસમાં તેમના પુત્રની ધરપકડને લઈને પણ વિવાદમાં આવ્યા હતા . પરંતુ, હવે ફરી એકવાર તે વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તાજેતરનો મામલો તેમના વિવાદાસ્પદ નિવેદનનો છે. વાસ્તવમાં, જેડીયુ ધારાસભ્યે નવગછિયામાં આયોજિત ભીમ સંવાદ કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું છે.
‘જો કોઈ વિરોધ કરશે, તો તેની ગરદન ઉતારી લેવાશે’
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવગઢિયાની ગોપાલ ગૌશાળામાં આયોજિત ભીમ સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ મંડલના બોલ બગડ્યા હતા. ધારાસભ્યે મંચ પરથી કહ્યું કે, જે લોકો મુખ્યમંત્રી નીતિશ કુમારનો વિરોધ કરશે તેમના ગળા કાપી નાખવામાં આવશે. અમારી સામે નીતિશ કુમારનો કોઈ વિરોધ કરતું નથી. જો કોઈ વિરોધ કરશે, તો તેની ગરદન ઉતારી લેવાશે. ગોપાલ ગોશાળા ખાતે ભીમ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મકાન બાંધકામ મંત્રી અશોક ચૌધરી, સાંસદ અજય મંડલ, વિધાન પરિષદના સભ્ય, રાજ્ય ઉપાધ્યક્ષ સંજય સિંહ, રાજગીરના ધારાસભ્ય કૌશલ કિશોર હાજર હતા.
હોળી-દિવાળીના ઉત્સાહની જેમ બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરો
આ દરમિયાન મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે, જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરો. બાબા સાહેબે જ દલિતો અને ઓબીસી માટે અનામતનો અમલ કર્યો હતો. આજે કેન્દ્ર સરકાર અને અન્ય લોકો અનામતનો અંત લાવવા માંગે છે. એક થઈને આવા લોકોનો વિરોધ કરો. તમે જે રીતે હોળી-દિવાળીની ઉજવણી કરો છો તે જ ઉત્સાહથી 13મી એપ્રિલના દિવસે તમારા ઘરમાં દીવા પ્રગટાવો. 14મી એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી કરો. તમામ કાર્યકરોએ દલિતો માટે કરેલા વિકાસ કાર્યોની ચર્ચા કરવી જોઈએ.