અરવલ્લી જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કારતકી પૂર્ણિમાનો મેળો યોજાયો છે. હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.વર્ષો પહેલા સળંગ એક માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમયનો કેન્દ્ર હતો ત્યારે સમય જતા આ મેળો હાલ માત્ર બે દિવસનો થઇ ગયો છે.
દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહીત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાઓમાંથી લાખ્ખોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આજે પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.
આ મેળામાં આવતા ભક્તો માટે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોવાને કારણે હજારો ભક્તોએ વહેલી સવારે નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું અને ત્યાર બાદ ભગવાન શામળીયાના દર્શન કરી પોતાની માનતા પૂરી કરી હતી.