ગુજરાત મંત્રીમંડળની રચનાને 100 દિવસ પૂરા થયા અને તેના લેખાજોખા કરવામાં આવી રહ્યા છે. સરકાર અને સંગઠન કામે લાગ્યું છે. ભાજપે અત્યારથી જ ઘરને વધુ મજબૂત કરવાની દિશામાં પહેલ કરી છે. મહત્વની વાત એ છે કે મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓ ભૂતકાળની પીડા ત્યજવાની કોશીશ કરી રહ્યા છે તો હાલમાં બનેલા મંત્રી ભવિષ્યના દુખને પિછાણીને, તેને અવગણીને કામે લાગ્યા છે.
આમ તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહી જ દીધું છે કે વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકા ટીકીટો કાપવામાં આવશે. આને ઘણાની રાતોની ઉંઘ ખરાબ થઈ ગઈ છે. બધા દિલ્હી તરફ મીટ માંડી રહ્યા છે અને કેટલાક દિલ્હીના દરબારમાં હાજરી પણ આપી રહ્યા છે. એવું મનાય છે કે. દિલ્હીથી સાંત્વનાનાં સમુદ્રમાં ડૂબકી મારીને નેતાઓ પાછા આવી રહ્યા છે. જોકે, તેમને ધ્રાસ્કો તો થઈ જ રહ્યો છે.
દિલ્હી હાઈકમાન્ડ અત્યારે તો યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીઓેને ટાળવાની અપીલ કરી છે. કોરોનાનાં નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈ ચૂંટણીને થોડા સમય માટે મુલત્વી રાખવાનું સૂચન હાઈકોર્ટે કર્યું છે.
ગુજરાતમાં પણ ચૂંટણીની સ્થિતિ અત્યારથી જ સર્જાણી છે. તડજોડ અને ગઠજોડ કરવામાં આવી રહી છે. વિવિધ સમાજોના સંમેલનો શરુ થઈ ગયા છે. નેતાઓ પણ પોત-પોતાની રીતે કામે લાગ્યા છે પણ ટીકીટના મામલે કોઈ કશું કહી શકતું નથી. જે મંત્રીઓ કપાયા છે તેઓ મને-કમને કામે લાગ્યા છે તો ભવિષ્યમાં જે મંત્રીઓ કપાઈ જવાના છે તેઓ અત્યારે સત્તાનો સ્વાદ ચાખી લેવાના મતના છે. ભવિષ્યના દુખને દરકિનાર કરીને નવા મંત્રીઓ કામે લાગ્યા છે.