ગુજરાતના પ્રવાસે આવેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિશાન તાક્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યુ કે, યુપીએ સરકારમાં અનેક કૌભાંડ આચરવામાં આવ્યાં, પણ મનમોહનસિંહ બધુ જોતા રહ્યાં અને મનમોહનસિંહ મૌનબાબા બનીને બેઠા રહ્યાં, પરંતુ હવે ચૂંટણી આવતાની સાથે મનમોહનસિંહ બોલવા લાગ્યા છે, જે તેમને શોભતું નથી.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નર્મદા નદી પરના ડેમ બનાવવાની કામગીરી પૂર્ણ ન કરવા પર કોંગ્રેસને ઘેરતા રહ્યા છે. જેનો જવાબ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આપ્યો હતો. નર્મદા ડેમનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુએ કર્યુ હોવાનું તેમણે કહ્યું. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, નર્મદા ડેમનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુએ કર્યુ હતું અને વિશ્વ બેંકમાંથી ફંડ મેળવવા તેઓએ પ્રયાસ કર્યો. ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે, તેવો મનમોહનસિંહે આરોપ લગાવ્યો હતો. તો સાથે જ આદિવાસીઓને મદદ કરવામાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું.
તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મનમોહનસિંહ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, યુપીએ સરકારમાં અનેક કૌભાંડ આચરવામાં આવ્યા હતા ત્યારે મનમોહનસિંહે મૌન સેવ્યું હતું અને હવે ચૂંટણી નજીક આવતાં બોલવા લાગ્યા છે, જે તેમને શોભતું નથી.