કેન્દ્રીય કેબિનેટે દેશના 100 શહેરોમાં ઈ-બસ ચલાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેના પર 77,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું વર્ણન કરતા કહ્યું કે પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ માટે દેશભરમાં લગભગ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો અંગેની બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “રૂ. 57,613 કરોડમાંથી રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં 3 લાખ અને તેનાથી વધુની વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવામાં આવશે. આ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ પર 10,000 ઈ-બસ સાથે સિટી બસની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે.” આ સાથે કેન્દ્રીય કેબિનેટે વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. બીજી તરફ કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુધવારે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
વિશ્વકર્મા યોજનાના સંચાલનથી 30 લાખ પરિવારોને લાભ મળશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને ટેકો આપવા માટે ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાને મંજૂરી આપી. આ યોજના હેઠળ ઉદાર શરતો પર 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ યોજનાના સંચાલનથી દેશભરના લગભગ 30 લાખ વિશ્વકર્મા પરિવારોને ફાયદો થશે.