ગુજરાત કોંગ્રેસમાં ઘરમૂળથી ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા હતા પણ હાલ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા વિપક્ષી નેતા અંગેનો મામલો ઘોંચમાં પડી ગયો હોય એવું લાગે છે.કોંગ્રેસમાં ખદબદીરહેલી જૂથબંધીનાં કારણે કાર્યકરોમાં હતાશા-નિરાશા ઉપરાંત નિષ્ક્રીયતા પણ વધી ગઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે.
એક પછી એક હાર પછી કોંગ્રેસના હારના કારણોમાં મુખ્ય કારણ ગુજરાતમાં બુથ સુધીનું સંગઠનના હોવાનું સામે આવતું આવ્યું છે. કોંગ્રેસના સંગઠનની નબળી કડીને વધારે મજબુત બનાવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે.
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે જે નામોની ચર્ચા ચાલી હતી તેમાં રાજ્યસભાના સાંસદ અને સ્વ. અહેમદ પટેલના વિશ્વાસુ એવા શક્તિસિંહ ગોહીલનું નામ મોખરે હતું, ત્યાર બાદ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવડીયા સહિતના અનેક નામોની અટકળો ચાલી હતી. દિલ્હી ખાતે લોબીંગ પણ કરવામાં આવ્યું હતું. દિવાળી પહેલાં કોંગ્રેસને નવા પ્રમુખ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હાલ એવું થતું દેખાતું નથી. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. અમિત ચાવડા. પરેશ ધાનાણી અને નવા પ્રભારી રઘુ શર્મા માટે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો મોટો પડકાર છે. કારણ કે આપ અને મીમ જેવી પાર્ટીઓ કોંગ્રેસનો કચ્ચરઘાણ કરવા આવી ચૂકી છે.
ગુજરાત કોંગ્રેસે સંગઠનનું વિકેન્દ્રીકરણ કરી પીરામીડ સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. જેમાં તાલુકા-જીલ્લા પંચાયત સીટ દીઠ સંયોજક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મનપા વિસ્તારમાં પોલીંગ બુથને સેક્ટરનો દરજ્જો આપી સેક્ટર દીઠ સંયોજક બનાવવામાં આવ્યા છે. સંયોજકોની નીચે કોંગ્રેસ અગાઉ જ જાહેર કરાયેલ બુથ દીઠ જનમિત્રોને રી-શફલ કરવાની કામગીરી કરાઈ રહી છે. તો ભાજપના પેજ પ્રમુખની જેમ કોંગ્રેસ પેજ પ્રભારી પણ બનાવશે.
કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવા માંગતું હોવાથી જ “મારું બુથ, મારું ગૌરવ”, “બુથ જીતીશું, 2022 જીતીશું”ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સંગઠનમાં નવી નિમણૂંક પામેલ સંયોજકોનો કામ કરવાનો વિસ્તાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એમને એ કામ સિવાય બીજા અન્ય કામ કરવાના નહીં રહે. જો કામની વાત કરવામાં આવે તો સંયોજકોએ પક્ષના કાર્યક્રમોને તાલુકા-જિલ્લા કક્ષાએ સારી રીતના આયોજિત કરાવવા, પક્ષની વિચારધારાને બુથ સુધી પહોંચાડવી. આ સિવાય સૌથી મહત્વની ગ્રાસરૂટ લેવલે પોતાના વિસ્તારમાં કામ કરતા કાર્યકર્તાઓની મનદુઃખ કે અન્ય લાગણીઓને પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી રહેશે. હવેથી કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે. જે સંગઠનને જોડી રાખવા કામ કરશે.