ગુજરાતમાં પટેલ સમાજની એકતા માટે પહેલી વાર ખોડલધામના વડા નરેશ પટેલ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પટેલ એકતા માટે ખોડલધામ દ્વારા અનેક પ્રકારના સીમાચિહ્ન નિર્ણયો લેવામાં આવ્યા છે. આના કારણે લેઉવા-કડવા કે અન્ય પટેલો વચ્ચેની ખટરાગો, મનદુખ અને વિવાદોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. પટેલ સમાજ હવે નવો ઈતિહાસ લખી રહ્યો છે.
કાગવડ ખાતે આગામી દિવસમાં સમગ્ર ગુજરાતના તમામ પટેલોને મા ખોડલના શરણે પહોંચવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. નરેશ પટેલે વ્યક્તિગત રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા કરતાં પણ વધારે પટેલ સમાજની એકતા પર ભાર મૂકી રહ્યા છે.
પાટીદારો ગુજરાતની 12.3 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. SEBC (બાદમાં OBC) યાદીમાં શરૂઆતમાં 81 સમુદાયોનો સમાવેશ થતો હતો. 2014 સુધીમાં 146 સમુદાયો સુધી આ યાદીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવેલા અનાત આંદોલન બાદ પાટીદારોને સરકારી લાભોમાં વધારો થયો છે.
ગુજરાતમાં પાટીદાર સમાજને બહુધિ રીતે ભાજપની વોટબેંક માનવામાં આવે છે. અનામત આંદોલન બાદ પાટીદાર સમાજમા ભાજપ પ્રત્યે ભારોભાર ગુસ્સો છે અને તેના પરિણામો 2015ની તમામ ચૂંટણીમાં દેખાયા હતા પણ યેનકેન રીતે ભાજપ ફરી-ફરીને સત્તા મેળવવામાં સફળ રહ્યું છે.
પાટીદાર સમાજમાં વર્ષોથી અનેક ફાંટા છે અને આ ફાંટાના કારણે એકમેકથી અનેક પ્રકારના મનદુખ અને કડવાશભર્યો માહોલ હતો. આ માહોલને દુર કરવા માટે પહેલીવાર નરેશ પટેલે પહેલ કરી છે. ખોડલધામ, ઉમિયા ધામ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મુખ્ય ધાર્મિક સંસ્થાઓ સિવાય સૌરાષ્ટ્રમાં અલગ અલગ ફાંટા છે. આ ફાંટાના વિવાદોના નિરાકરણ માટે પ્રયાસો થયા છે.
પ્રથમ તો ખોડલધામમાં ઉમિયા માતાની મૂર્તિની સ્થાપનાથી શરુ કરીએ તો અનેક પ્રકારના કાર્યો સમાજ-સમાજ વચ્ચેનાં અંતરને ઘટાડવા માટે કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજ માટે આ નાનીસૂની ઘટના નથી પણ નરેશ પટેલે આ કરીને બતાવ્યું છે. નરેશ પટેલની પાટીદાર એકતાની વચ્ચે એક માત્ર આશંકા છે તે રાજકીય દખલગીરીની છે. રાજકીય નેતાઓએ ક્યારેય પણ સમાજ-સમાજને એક થવા દીધા નથી પણ આ વખતે નરેશ પટેલ આ તમામ અટકળો, ધારણાઓ અને ભ્રમને ભાંગીને ભૂક્કો કરવા પાટીદાર એકતા માટે રીતસર ઝઝૂમી રહ્યા છે. સમાજના દરેક વર્ગમાંથી તેમને જબરદસ્ત રિસપોન્સ મળી રહ્યો છે.