ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડના 48 કલાક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરમાં રેડિયો પ્રસારણને પ્રોત્સાહન આપવા માટે 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા આ 100 વોટના ટ્રાન્સમિટર્સનું લોન્ચિંગ કર્યું હતું. આ ટ્રાન્સમીટર 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં લગાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું વિસ્તરણ એ ‘ઓલ ઈન્ડિયા એફએમ’ બનવા તરફનું એક મોટું અને મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે આ શરૂઆત દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકો માટે ભેટ સમાન છે. મોદીએ કહ્યું કે ‘મન કી બાત’નો શ્રેષ્ઠ અનુભવ, દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ ફક્ત રેડિયો દ્વારા જ શક્ય બન્યું છે. તેમણે કહ્યું, “આ દ્વારા હું દેશવાસીઓની શક્તિ અને દેશની સામૂહિક ફરજ શક્તિ સાથે જોડાયેલો છું.”
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, મોદી દ્રઢપણે માને છે કે જનતા સુધી પહોંચવામાં રેડિયો મહત્વની ભૂમિકા ભજવે છે અને વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલ, રવિવારના રોજ ટેલિકાસ્ટ થવાનો છે.