જામનગર રાજપુત સેવા સમાજ, જામનગર રાજપુત યુવા સંઘ અને જામનગર રાજપુત સમુહ લગ્ન સમિતીના કાર્યકર્તાઓ તથા વિશાળ રાજપૂત સમુદાય દ્વારા આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં રેલી સ્વરૂપે આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત આવેદન પત્ર આપ્યુ હતું અને જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે રીતે નોન-વેજની રેકડીઓ ખડકાઈ ગઈ છે. તે તમામ રેકડીઓને બંધ કરાવવા માટેની ઉગ્ર માગણી કરી છે. આ બાબતે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સ્થળોએ નોનવેજની રેકડી ખડકાઈ ગઈ છે જ્યાં હિંદુ લોકોની વસ્તી છે. તેવા સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, ખંભાળિયા નાકા વિસ્તાર, ઇન્દિરા માર્ગ, જુના રેલવે સ્ટેશન, હરીયા કોલેજ રોડ, ખોડિયાર કોલોની રોડ, પંચવટી વિસ્તાર, જી.જી.હોસ્પિટલ, વિકાસ ગૃહ રોડ, રામેશ્વર ચોક, નવાગામ ઘેડ, ગોકુલ નગર સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઈંડા-આમલેટ તથા નોનવેજની સંખ્યાબંધ રેકડીઓ ખડકાઈ ગઈ છે.
જે રેકડીઓ પર રાત્રીના સમયે નાસ્તો કરવા માટે કેટલાક લુખ્ખા તત્વો એકત્ર થાય છે અને માથાકૂટના બનાવો બને છે. તાજેતરમાં જ આવો એક બનાવ સુમેર કલબ રોડ પર રાજપૂત સમાજના યુવાનનું સામાન્ય બાબતમાં જ ખુન કરી નાખવામાં આવ્યું હતું. આવા છાશવારે મારામારીના અને હત્યા સહિતના બનાવો અટકાવવા માટે રાજપૂત સમાજે ઉગ્ર વિરોધ દર્શાવી રેકડીઓને બંધ કરાવવાની માગણી કરી છે.