નવી દિલ્હી : હજારો કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવેલા યસ બેંક (YES Bank)ના ફાઉન્ડર રાણા કપૂરને વિજય માલ્યાની માફક વૈભવી જીવનશૈલી માટે ઓળખવામાં આવે છે. મની લોન્ડ્રિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવતા રાણા કપૂરની તમામ વિગતો સામે આવી રહી છે. લંડનમાં અખૂટ સંપત્તિ જમા કરનારા રાણા કપૂરે ભારતમાં પણ અનેક વૈભવી સંપત્તિઓ બનાવી છે. રાણા કપૂરનો પરિવાર મુંબઈમાં 128 કરોડ રૂપિયાના આલિશાન બંગલામાં રહેતો હતો. આ બંગલો મુંબઈના અતિ મોંઘા અને પોશ ગણાતા ટોની એલ્ટામાઉંટ રોડ પર આવેલો છે. આ બંગલો પણ એ જગ્યાએ આવેલો છે, જ્યાં તેના અબજોપતિ પાડોશી રહે છે. જીહા ! આ બંગલો રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બાજુમાં જ આવેલો છે .
રાણા કપૂરે વર્ષ 2018માં આ સ્થળે એક પ્લોટ ખરીધ્યો હતો. આ જમીન પર રાણાના પરિવારે પોતાના સપનાનો મહેલ બનાવ્યો હતો. 44 અબજ રૂપિયાની કિંમતના એંન્ટીલિયાને અડીને આવેલો હોવાથી રાણા કપૂરનો આ મહેલ ઓછો ચર્ચામાં આવતો હતો પણ સુવિધાઓની બાબતમાં તે અદ્યતન ગણાતો હતો. અહેવાલ મુજબ આ ઘર ભારતના 10 સૌથી મોંઘા ઘરોમાંનુ એક છે. આ ઈમારતનો માલિકી હક સિટી ગ્રુપ પાસે હતો. ખુર્શીદાબાદ બિલ્ડિંગમાં બનેલા 6 એપાર્ટમેંટમાં આ બંગલો બનાવવામાં આવ્યો છે. રાણાના આ બંગલાને અડીને જ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પણ રહે છે.