સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ પૂરઝડપ જતી કારે રોંગસાઇડમાં ઘૂસી જઇને મુસાફરો ભરેલી શટલરિક્ષાને ફંગોળતાં રોડ પર મુસાફરો ફેંકાઇ ગયા હતાં. જેમાં દેદાદરા ગામના રિક્ષાના ચાલક જગદીશભાઇ દલવાડી અને પૃથ્વીરાજસિંહ ઝાલાનું મોત થયુ હતું. જ્યારે ઇજાગ્રસ્ત પાંચ લોકોને સારવાર માટે સુરેન્દ્રનગરની જુદી જુદી હોસ્પિટલોમાં લઇ જવાયા હતાં. વઢવાણ તાલુકાના દેદાદરા ગામથી મુસાફરો ભરીને શટલરિક્ષાના ચાલક જગદીશભાઇ દલવાડી સુરેન્દ્રનગર તરફ આવતા હતાં.
આ દરમિયાન અમદાવાદ તરફ પૂરઝડપે જતી કાર રોંગસાઇડમાં ઘૂસી આવીને પલવારમાં મુસાફરો સાથે રિક્ષાને ફંગોળી દેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં ઘટના સ્થળે દેદાદરા ગામના 35 વર્ષના જગદીશભાઈ ભગવાનભાઈ દલવાડીનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે દેદાદરાના અને કચ્છના મુંદ્રામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા પૃથ્વીરાજસિંહ દિલુભા ઝાલા, પત્ની દયાબા અને બે માસની પુત્રી માનસીબા પણ આ રિક્ષામાં બેસી મુંદ્રા જવા સુરેન્દ્રનગર તરફ આવી રહ્યાં હતાં. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 26 વર્ષના પૃથ્વીરાજસિંહ દિલુભા ઝાલાનું મોત થયુ હતું.