ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સોશિયલ એન્જિનિયરીંગને આક્રમક રીતે અપનાવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા ડેમેજને ક્ન્ટ્રોલ કરવા માટે સીઆર પાટીલ થ્રીલર જેવી રણનીતિ અપનાવી રહ્યા છે. આજે અચાનક ખોડલધામ પહોંચીને સીઆર પાટીલે સૌને ચોંકાવી દીધા હતા.
ખોડલધામ પહોંચીને સીઆર પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો. પાટીલ સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેના સ્વાગત માટે આવ્યા હતા. આ પદયાત્રાનું પાટીલે લીલાખામાં સ્વાગત કર્યું હતું. બાદમાં અચાનક જ સીઆર પાટીલ ખોડલધામ પહોંચ્યા હતા.
સીઆર પાટીલ હેલિકોપ્ટર મારફત ગોંડલ SRP ગ્રાઉન્ડ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું. અહીં ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પાટીલ બાય રોડ કારમાં લીલાખા પહોંચ્યા હતા. આમ પાટીલ હવે સક્રિય થયા છે અને ચુંટણીઓ પહેલા પોતાનો ગઢ મજબૂત કરી રહયા છે.
સીઆર પાટીલની ફ્લાઈંગ વિઝીટથી ફલિત થઈ રહ્યું છે કે તેઓ કોંગ્રેસ અને આપ તરફ પાટીદારોના ગાડરિયા પ્રવાહને રોકવામાં સફળ થશે. હાલ તો તેમણે પટેલ પોલિટીક્સમાં આગે કદમ માંડ્યા છે અને આવનાર દિવસોમાં સીઆર પાટીલ સોશિયલ એન્જિનિયરીંગ મામલે વધુ આક્રમકતાથી રણનીતિ બનાવશે અને કશુંક નક્કર અને પરિણામલક્ષી કરી રહ્યા હોવાનું ભાજપના જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.