સુરત : સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા નવ વર્ષથી પથારીવશ છે. ફરજ દરમ્યાન આ પોલીસ કોન્સ્ટેબલ અકસ્માતનો ભોગ બન્યો હતો..જ્યા અકસ્માતનો ભોગ બન્યા બાદ આ પોલીસ કર્મચારીને પેરાલિસીસ થઈ ગયો…અને એક પરિવારનો આશરો છીનવાઈ ગયો.જો કે હજી સુધી સરકાર અથવા પોલીસ વિભાગ તરફથી આ પોલીસ કર્મચારીને કોઈ પણ સહાય અથવા પેનશન નથી પુરી પાડવામાં આવ્યું. જ્યાં પરિવાર સરકાર પાસે એક સહાયની આશા સેવી બેઠું છે.
પથારીવસ્થામાં દેખાતા આ વ્યક્તિનું નામનું છે મનુ પરાગભાઈ ચૌધરી. મનુ પરાગભાઈ ચૌધરી જે એક સમયે સુરત ના રાંદેર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા હતા…પરંતુ ફરજ દરમ્યાન સંજોગોએ તેમને પથારીવશ કરી દીધા. વર્ષ 2008 માં મનુભાઈ બારડોલી ખાતે એક પોલીસ કર્મચારીને ગેરહાજર રહેતા સમન્સ બજાવવા ગયા હતા.જ્યાં પરત ફરતી વેળાએ ટ્રક અને તેમની મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મનુભાઈ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા….જ્યાં અકસ્માતની ઘટના બાદ મનુભાઈને પેરાલીસીસ થઈ ગયો. મનુભાઈની આ હાલત થતા પરિવાર જાણે બેસહારો બની ગયો. બે પુત્રો અને પત્ની સરોજબેન સામે ઘર ચલાવવા માટે એક મોટો પ્રશ્ન આવી ને ઉભો થઇ ગયો. મનુભાઈના અકસ્માત ના સમયે મોટો પુત્ર ધોરણ દસમા અભ્યાસ કરતો હતો. જ્યારે નાનો પુત્ર ધોરણ છઠામાં અભ્યાસ કરતો હતો. છ મહિના સુધી મનુભાઈનો સરકાર તરફથી પગાર મળતો રહ્યો ,ત્યાં સુધી પત્ની સરોજબેને ઘર ચલાવ્યા રાખ્યું.છ મહિના બાદ આ પગાર પણ આવતા બંધ થઈ જતા સરોજબેનની મુશ્કેલીમાં વધારો થઈ ગઈ ગયો…જ્યાં તેઓ પોતાના પરિવારને લઈ વતન ચાલ્યા ગયા. ધીરે ધીરે મોટા પુત્રએ ધોરણ બાર સુધી અભ્યાસ તો કર્યો ,પરંતુ ધોરણ બારમાં નાપાસ થતા તેણે ઘરની પરિસ્થિતિ જોતા અભ્યાસ છોડવાનો નિર્ણય કર્યો. જ્યાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાં મોટા પુત્રએ નોકરી શરૂ કરી પરિવારનું ગુજરાન ચલાવવા શરૂ કર્યું….અને સાથે પોતાના નાના ભાઈ વત્સલને કોલેજ સુધીના અભ્યાસમાં પણ મદદ કરી….માતા સરોજબેન ફરી સુરત ના ડીંડોલી વિસ્તારમાં સહપરિવાર સાથે રહેવા આવી ગયા .જ્યાં ઘરકામ કરવાની સાથે સાથે તેઓએ સાડીનું ટીક્કી કામ પણ શરૂ કરી હાથ ખર્ચો કાઢવા માંડયા. પરંતુ આજે પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાના કારણે પથારીવશ રહેલા મનુભાઈની સારવાર કરવા પાછળનો ખર્ચ કાઢવા માટે સરોજબેન અને તેનો મોટો પુત્ર ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. સરકાર તરફથી સહાય અથવા પેનશન મળે તેવી આશા સાથે સરોજબેને અગાઉના ત્રણ પોલીસ કમિશનર રહી ચૂકેલા અધિકારીઓને આ અંગે રજુવાત પણ કરી હતી. જો કે હજી સુધી કોઈ સહાય અથવા પેનશન નથી મળ્યું.પરિવારે સુરત ના હાલ ના પોલીશ કમિશનર સતીશ શર્માને મળી હવે આ અંગે ફરી રજુવાત કરી છે.જ્યાં તેમની ફાઇલ આગળ મોકલવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ પથારીવસ્થામાં રહેલા મનુભાઈ ચૌધરી નો પરિવાર આજે પણ જીવન સામે ભારે સંઘર્ષ કરી રહ્યો છે.ઘરમાં સાડી પર ટીક્કી કામ કરી અને મોટા પુત્રની કમાણીથી હાલ ઘરના મોભી સરોજબેન હેમખેમ ઘરનું ભરણપોષણ કરી રહ્યા છે.સાથે જ સરકાર તરફથી સહાય અને પેનશન મળી રહે તેવી આશા હાલ સરોજબેન સેવી બેઠા છે.ત્યારે રાજ્ય સરકાર પથારીવશ દેખાતા આ પોલીસ કર્મચારીને કોઈ સહાય અથવા મદદ પુરી પાડે છે કે કેમ તે હવે જોવાનું રહેશે…