સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાની હદમાં આવતાં અનેક દુકાનદારો અને વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સરકારના નિયમોનું ઉલંધ્ધન કરી સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ આ પ્લાસ્ટીકને જાહેર રસ્તા ઉપર ફેંકી ગંદકી પણ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી પાલિકાની ટીમે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથધર્યું હતું અને ગેરકાયદેસર દબાણો સહિત સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓને કડક સુચનાઓ આપી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાની હદમાં ધંધો અને વ્યાપાર કરતાં અનેક વેપારીઓ નિયમોનું ઉલંધ્ધન કરી સીંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું તેમજ શહેરનાં મુખ્ય માર્ગો પર અડચણરૂપ હાથલારીના દબાણોના કારણે ટ્રાફીક સહિતની સમસ્યાઓ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
જેને ધ્યાને લઈ પાલિકાના ચીફ ઓફીસરની સુચનાથી ટીમનાં છત્રપાલસિંહ ઝાલા, મુકેશભાઈ ડગલી, પદુભા પરમાર, આબીદભાઈ, અજીતભાઈ ભરવાડ, રાહુલભાઈ મોરી સહિતની ટીમે સીંગલયુઝ પ્લાસ્ટીક જાહેર રસ્તા પર ફેંકતાં વેપારીઓ સામે કાર્યવાહી હાથધરી હતી જેમાં શહેરનાં બાલા હનુમાન રોડ થી અપના બજાર, દેરાસર ચોકથી માઈ મંદિર સુધી અને માઈ મંદિરથી ઓવરબ્રીજના ખુણા સુધી અંદાજે ૨૫૦ થી ૩૦૦ દુકાનદારોને ડોર ટુ ડોર જઈ કડક સુચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરનાં વાડીલાલ ચોકથી દેરાસર ચોક સુધીમાં અંદાજે ૮ થી ૧૦ નડતર રૂપ હાથલારીના દબાણો પણ દુર કરવામાં આવ્યાં હતાં અને આ તમામ લોકોને સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેમજ ઓવરબ્રીજથી કુંથુનાથ દેરાસર પાસે આડેઘડ ઝીંઝરાની લારીવાળાઓને મૌખિક સુચનાઓ આપી હતી અને તેમ છતાંય દબાણ સહિત સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.