ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તખ્તો અત્યારથી જ ગોઠવાઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સિવાય 2022માં નવી બે પાર્ટીઓ પર ગુજરાતના લોકોની નજર રહેશે. આ બે નવી પાર્ટીઓમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી( AAP) છે અને ઔવેસીની ઓલ ઈન્ડીયા ઈત્તેહાદુલ મુસ્લિમીન નામની પાર્ટી છે. ઔવેસીની પાર્ટીને શોર્ટમાં મીમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં મુસ્લિમ મતદારોની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બર, 2017 ના રોજ ગુજરાતમાં 43.3 લાખ નોંધાયેલા મતદારો હતા. ગુજરાતના 182 મતવિસ્તારોમાંના દરેક મતદાન મથકમાં VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી. તેના આધારે આ આંકડો જાણવા મળી રહ્યો છે.
હવે ગુજરાત વિધાનસભામાં મુ્સ્લિમ ધારાસભ્યોની સ્થિતિ જોઈએ તો 2008માં વિધાનસભાના નવા સીમાંકન બાદ ગુજરાતમાં ત્રણ જ મુસ્લિમ ધારાસભ્યો જીતી શક્યા હતા. 2017ની ચૂંટણીમાં અમદાવાદની દરિયાપુર વિધાનસભામાંથી ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડીયામાંથી ઈમરાન ખેડાવાલા જ્યાર વાંકાનેરમાંથી મહંમદ જાવેદ પીરઝાદા જીત્યા હતા. ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે. કોંગ્રેસ 2017માં 6 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી હતી.
ગ્યાસુદ્દીન શેખ 6 હજાર મતે જીત્યા હતા. ઈમરાન ખેડાવાલા 29 હજાર મતે જીત્યા હતા. જ્યારે જાવેદ પીરઝાદા 1300 મતે જીત્યા હતા. ઈમરાન ખેડાવાલા સામે છેક છેલ્લી ઘડીએ હાલના ઔવેસીની પાર્ટી મીમના પ્રમુખ કાબલીવાલાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે કાબલીવાલા પોતે મીમના પ્રદેશ પ્રમુખ છે અને તેઓ ચૂંટણી લડશે એ મીનમેખ છે.
આ ઉપરાંત કોંગ્રેસે કચ્છમાંથી આદમ ચાકી, સુરત પશ્ચિમમાંથી ઈકબાલ દાઉદ પટેલ અને ભરુચની વાગરા સીટ પરથી સુલેમાન પટેલને ટીકીટ આપી હતી. આ ત્રણેય ઉમેદવારો હારી ગયા હતા.
2017થી 2021 અને હવે પછીના એક વર્ષ દરમિયાન કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંક કોંગ્રેસથી દુર થઈ રહી હોવાનો અંદાજ આવી રહ્યો છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની કમિટેડ વોટ બેંક ગણાતા મુસ્લિમોએ પડખું ફેરવી દીધું હોવાનાં સંકેત આપ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સફાયા બાદ કોંગ્રેસના અસંખ્ય મુસ્લિમ આગેવાનો અને કાર્યકરોએ આપ અને મીમ તરફ દોડ મૂકી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ અને મીમ તરફ મુસ્લિમોનો ઝોક જોવા મળ્યો હતો અને કોંગ્રેસને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. આપ અને મીમની જીત કોંગ્રેસ માટે ચિંતાનું મોટું કારણ બની રહી છે.
ગુજરાતના મુસ્લિમો અહેમદ પટેલના અવસાન બાદ સક્ષમ નેતાગીરીના અભાવથી પીડિત છે. અહેમદ પટેલ હતા ત્યાં સુધી મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું હતું. અહેમદ પટેલના અવસાનના પગલે ખાલીપાના દુર કરવા માટે ઔવેસીએ ગુજરાતની રાજનીતિમાં પોતાની હેટ ફેંકી દીધી છે. તેમને કેટલાક પોઝીટીવ પરિણામો પણ મળ્યા છે.
જ્યારે મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની આપ પાર્ટીનાં ટેબલો પણ ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારો જેટલા વોટ લઈ ગયા છે. મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંકમાં આપ અને મીમ પાર્ટીએ ફાચર મારી દીધી છે અને ફાચર વધુને વધુ પહોળી થશે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. મીમ દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં સંગઠન ઉભૂં કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના મુસ્લિમો માટે રાજકીય રીતે સ્થિતિ ત્રિભેટે આવીને ઉભી થઈ ગઈ છે. કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ કાર્યકરોને સાચવી લઈ આપ અને મીમના વેવને ખાળવાનો પ્રયાસ કરતાં દેખાતા નથી. કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો એમ કહીને હાથ ખંખેરી નાંખે છે કે આપ અને મીમનો મુસ્લિમોમાં ક્રેઝ છે એમાં અમે શું કરી શકીએ.
વિધાનસભાની ચૂંટણી આવતાં સુધીમાં ગુજરાતમાં મુસ્લિમ મતદારોને લઈ કોંગ્રેસ, આપ, મીમ ઉપરાંત સપા, બસપા સહિતની પાર્ટીઓ પણ સક્રીય થશે. મુસ્લિમોનું રાજકારણ ડહોળાયેલું છે અને કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા નકારી શકાતી નથી. આ સમગ્ર રાજકીય સમીકરણોમાં સૌથી વધુ ફાયદો ભાજપને થવાનો છે.
મુસ્લિમ મતોમાં વિભાજન થવાની પૂરેપૂરી સંભાવના હોવાથી ભાજપ આ સમીકરણોનો મહત્તમ લાભ લઈ જવાની રાજનીતિ કરશે અને એમાં તેને ચોખ્ખી રીતે ફાયદો થવાની ગણતરી મૂકવી અસ્થાને લેખી શકાય નહીં.