ખરીફ પાકમાં ડાંગરની ઓછી વાવણીને કારણે આગામી સમયમાં ચોખાના ભાવ વધી શકે છે. આ વખતે ચોખાના ઉત્પાદનમાં 60-70 લાખ ટનનો ઘટાડો થવાની ધારણા છે. તેની અસર મોંઘવારી દર પર પણ પડશે. ઓગસ્ટમાં છૂટક ફુગાવો 7 % હતો. જો કે જથ્થાબંધ ફુગાવાનો દર 11 મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.
જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત અને વિલંબિત દક્ષિણ-પશ્ચિમ વરસાદથી ડાંગરના પાકમાં ઘટાડો થવાની ધારણા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચોખાની જથ્થાબંધ કિંમત એક વર્ષમાં 10.7 % વધીને રૂ. 3,357 પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. છૂટક કિંમત 9.47 % વધીને 38.15 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.ખાદ્ય મંત્રાલયનું અનુમાન છે કે, આના કારણે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ભારત પાસે પર્યાપ્ત બફર અનામત છે, તેથી ગભરાવાની જરૂર નથી.
ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે સરકારે ભાવ ઘટાડવા માટે 20 % નિકાસ ડ્યુટી પણ લગાવી છે.નીતિ આયોગે કહ્યું, ગભરાવાની જરૂર નથીનીતિ આયોગના સભ્ય રમેશ ચંદે કહ્યું કે, ચોખાના ભાવને લઈને ગભરાવાની જરૂર નથી. કિંમતોમાં વધારો એટલા માટે છે કારણ કે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ખાતર અને ઈંધણ પણ મોંઘા થઈ ગયા છે.